VIDEO : રાહુલ ગાંધી મુદ્દે મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાઈ બેઠક, સોમવારે દેશભરમાં કોંગ્રેસ કરશે વિરોધ

VIDEO : રાહુલ ગાંધી મુદ્દે મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાઈ બેઠક, સોમવારે દેશભરમાં કોંગ્રેસ કરશે વિરોધ

નવી દિલ્હી, તા.23 માર્ચ-2023, ગુરુવાર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના મુદ્દે મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સોમવારે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે તેવું નક્કી કરાયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું કે, લગભગ 2 કલાક બેઠક ચાલી… આવતીકાલે 10 વાગે ખડગેએ બેઠક બોલાવી છે, આવતીકાલે સંસદમાં બેઠક યોજાશે. કોંગ્રેસ સોમવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. રાહુલનો મુદ્દો કાનૂની અને રાજકીય બંને મોરચે લડાશે. આવતીકાલે મલ્લિકાર્જુન ખડગે વિપક્ષી નેતાઓને મળશે અને ત્યારબાદ સવારે 11.30 વાગે પદયાત્રા યોજવામાં આવશે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય મંગાશે… સમય આપશે તો આવતીકાલે રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે.

તો બીજી તરફ સૂત્રો મુજબ, કોંગ્રેસ માની રહી છે કે, રાહુલ ગાંધી સાંસદ પદ માટે અયોગ્ય થઈ જશે અને પાર્ટી આ ધારણા સાથે તેની સંપૂર્ણ રણનીતિ બનાવી રહી છે. આવતીકાલે દિલ્હીમાં તમામ પ્રદેશ પ્રમુખો અને કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવાઈ છે.

લોકશાહી સાથે જોડાયેલો મુદ્દો : જયરામ રમેશ

જયરામ રમેશે વધુમાં જણાવ્યું કે, આ માત્ર કાયદાકીય મુદ્દો નથી, આ લોકશાહી સાથે જોડાયેલો ગંભીર રાજકીય મુદ્દો છે. મોદી સરકાર દ્વારા ધાકધમકી, ડરાવવા અને હેરાનગતિની રાજનીતિનું આ એક મોટું ઉદાહરણ છે. આ મામલાને અમે કાયદાકીય રીતે લડીશું, આ એક રાજકીય મુકાબલો છે, અમે તેનાથી ડરવાના નથી.

તેજસ્વી યાદવે શું કહ્યું ?

દરમિયાન રાહુલ ગાંધીના મામલે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી સાથે ખોટું થયું છે. આ કાર્યવાહી એ દર્શાવે છે કે, મોદીજી ગભરાયેલા છે અને તેઓ 2024ની સામાન્ય ચૂંટણી માટે તૈયાર નથી. તેથી જ વિપક્ષી નેતાઓ સામે આવી કાર્યવાહી કરાઈ રહી છે. જો હજુ થોડા દિવસ આવું ચાલતું રહેશે તો લોકતંત્ર, બંધારણ ખતમ થઈ જશે.

Share: