SCO બેઠક : 600 ભારતીય માછીમારોને મુક્ત કરશે પાકિસ્તાન, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ લીધો મોટો નિર્ણય

SCO બેઠક : 600 ભારતીય માછીમારોને મુક્ત કરશે પાકિસ્તાન, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી, તા.05 મે-2023, શુક્રવાર

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે છે. આ દરમિયાન પાકિસ્તાને 600 ભારતીય માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, માછીમારોએ દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. આ માટે આ લોકોને જેલમાં રખાયા છે.

પાકિસ્તાનનો ભારત પ્રત્યે સકારાત્મક નિર્ણય

અહેવાલો અનુસાર 600માંથી 200 માછીમારોનેને 12મી મેના રોજ મુક્ત કરાશે, જ્યારે બાકીના 400 માછીમારોને 14મી મેના રોજ મુક્ત કરાશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે. હાલ ગોવામાં બેનૌલિમમાં SCOના વિદેશ મંત્રીઓની બેઠક ચાલી રહી છે, જેમાં પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો પણ સામેલ થયા છે, ત્યારે પાકિસ્તાન દ્વારા લેવાયેલા આ નિર્ણયને સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

12 વર્ષ બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની ભારત મુલાકાત

બિલાવલ ભુટ્ટો છેલ્લા 12 વર્ષમાં ભારતની મુલાકાત લેનારા પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી છે. 2011માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે ભારતની મુલાકાત લીધી હતી અને તેમના તત્કાલીન સમકક્ષ એસ.એમ.કૃષ્ણા સાથે વાતચીત કરી હતી. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

બેઠકમાં ભારત-પાકિસ્તાનના વિદેશ મંત્રીઓએ શું કહ્યું ?

SCOની બેઠકમાં વિદેશમંત્રી એસ.જયશંકરે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની હાજરીમાં સ્પષ્ટપણે કહ્યું કે, કોઈપણ પ્રકારના ભેદભાવ વિના આતંકવાદને અને તેના નાણાં પુરા પાડવાની બાબતને રોકવી જોઈએ. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે, જ્યારે હું આ વિષય પર બોલું છું, ત્યારે હું માત્ર પાકિસ્તાનના વિદેશ મંત્રી તરીકે બોલતો નથી, જેમના લોકોએ સૌથી વધુ હુમલામાં સૌથી વધુ નુકસાન ભોગવ્યું છે… હું એક પુત્ર તરીકે પણ બોલું છું, જેની માતાની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

Share: