×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MPમાં સાંઢોની નસબંધી કરવાનો આદેશ પાછો ખેંચાયો, સાધ્વી પ્રજ્ઞાએ લગાવ્યો હતો એક ખાસ ષડયંત્રનો આરોપ


- જો દેશી સાંઢોની નસબંધી કરવામાં આવશે તો આખી પ્રજાતિ જ ખતમ થઈ જશેઃ સાધ્વી પ્રજ્ઞા

નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

મધ્ય પ્રદેશના એક સરકારી આદેશ પર એટલો વિવાદ થયો હતો કે, સરકારે આખરે તે આદેશ પાછો ખેંચવો પડ્યો છે. હકીકતે પશુપાલન વિભાગે સમગ્ર પ્રદેશના બિનઉપયોગી સાંઢોની નસબંધી કરવા માટેનો આદેશ બહાર પાડ્યો હતો. પરંતુ ભાજપના જ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના વિરોધના પછીના દિવસે વિભાગે તે આદેશ રદ કર્યો છે. 

પશુપાલન વિભાગે બુધવારે સાંજે આદેશ રદ કરવા અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે, 'પશુપાલન વિભાગ દ્વારા સાંઢોના ખસીકરણ માટેનો કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ આજે બુધવારે તે અભિયાનને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. પશુપાલન અને ડેરી વિભાગના સંચાલક ડો. આર કે મેહિયાએ અભિયાનને સ્થગિત કરવા માટેનો આદેશ જાહેર કર્યો છે.'

એમપી સરકારે આદેશ પાછો ખેંચ્યો ત્યાર બાદ સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યું કે, 'મેં આ આદેશ અંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પશુપાલન મંત્રી પ્રેમ સિંહ પટેલ સાથે વાત કરી હતી. ત્યાર બાદ આ આદેશ કેન્સલ થયો છે.'

મધ્ય પ્રદેશ સરકારના પશુપાલન વિભાગે તમામ જિલ્લા કલેક્ટર્સ માટે આદેશ બહાર પાડ્યો હતો કે, બિનઉપયોગી સાંઢોની સંખ્યામાં નિરંતર થઈ રહેલી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને 4 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી ખસીકરણ અભિયાન ચલાવવામાં આવે. આ માટે તમામ ગામના પશુપાલકો પાસે રહેલા કે ગૌશાળામાં રહેલા નિરાશ્રિત બિનઉપયોગી સાંઢોનું ખસીકરણ કરવામાં આવે. 

એક તરફ પશુપાલકો અને હિંદુ સંગઠનોએ આ આદેશનો વિરોધ કર્યો હતો તો બીજી બાજુ ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે પણ સાંઢોની નસબંધીને લઈ સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ખોટી રીતે અને નિર્દયી ઢંગથી મવેશીઓની નસબંધી કરવાની જાણકારી મળી તે સાથે જ તેમણે ભોપાલ કલેક્ટર, પશુપાલન મંત્રી અને મુખ્યમંત્રીને આ આદેશ પર તાત્કાલિક રોક લગાવવાની વિનંતી કરી હતી. 

'પ્રકૃત્તિ સાથે છેડછાડ ન થવી જોઈએ'

તેમણે કહ્યું હતું કે, પ્રકૃત્તિ સાથે છેડછાડ ન થવી જોઈએ. જો દેશી સાંઢોની નસબંધી કરવામાં આવશે તો આખી પ્રજાતિ જ ખતમ થઈ જશે. સાંઢોની નસબંધીનો આદેશ રદ થયા બાદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, 'મને લાગે છે કે, આ આદેશ કોઈ આંતરિક ષડયંત્ર છે, તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. દેશી ગૌવંશ નષ્ટ ન થવું જોઈએ. મુખ્યમંત્રી સમક્ષ આ મામલે તપાસ કરાવવાની માગણી કરીશ.'