VIDEO : મહારાષ્ટ્રનાં યવતમાલમાં પૂરમાં ફસાયા 65 લોકો, એરફોર્સના હેલિકોપ્ટરે તમામને બચાવ્યા

VIDEO : મહારાષ્ટ્રનાં યવતમાલમાં પૂરમાં ફસાયા 65 લોકો, એરફોર્સના હેલિકોપ્ટરે તમામને બચાવ્યા

નાગપુર, તા.22 જુલાઈ-2023, શનિવાર

મહારાષ્ટ્રમાં, યવતમાલ જિલ્લાના મહાગાંવ તાલુકામાં ભારે વરસાદ બાદ પૂરમાં ફસાયેલા તમામ 65 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે. અધિકારીઓએ આજે જણાવ્યું કે, રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને બચાવ કાર્ય માટે અહીં તૈનાત કરાયું છે. ઉપરાંત ભારતીય વાયુસેનાના બે Mi-17 હેલિકોપ્ટર પણ બચાવ અભિયાનમાં સામેલ કરાયા છે અને ગામમાં પૂરના કારણે ફસાયેલા તમામ લોકોને બચાવ્યા હતા. 

ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા, લોકો ઘર છોડવા મજબુર

નાગપુરથી લગભગ 150 કિલોમીટર દૂર જિલ્લામાં ગઈકાલ સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો ઘર છોડવા મજબુર થયા છે. મહારાષ્ટ્ર સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરી હેલિકોપ્ટર વિશે માહિતી આપી

દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મહાગાંવ તાલુકાના આનંદનગર ગામમાં પૂરના કારણે 45 લોકો ફસાયા છે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાના 2 હેલિકોપ્ટર ટૂંક સમયમાં નાગપુર પહોંચશે અને ત્યાંથી ફસાયેલા ગ્રામજનોને બચાવવા માટે મહાગાંવ માટે રવાના થશે. મહાગાંવ તાલુકામાં 231 મીમી વરસાદ નોંધાયો હતો.

યવતમાલમાં ભારે વરસાદથી ચારેકોર પાણી

બીજી તરફ સંરક્ષણ પીઆરઓ નાગપુર વિંગ કમાન્ડર રત્નાકર સિંહે જણાવ્યું કે, યવતમાલમાં પૂરને કારણે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે નાગપુરથી એક Mi-17 વી5 હેલિકોપ્ટરની મદદ લેવાઈ છે. જિલ્લા અધિકારીઓના જણાવ્યા અનુસાર યવતમાલમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે શહેરના કેટલાક ભાગોમાં ઘરો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

Share: