દિલ્હીમાં પાણી ઓસર્યા બાદ નવી મુસીબત સામે લડવા રહેવું પડશે તૈયાર, આરોગ્ય નિષ્ણાતોએ કર્યા એલર્ટ

દિલ્હીમાં પાણી ઓસર્યા બાદ નવી મુસીબત સામે લડવા રહેવું પડશે તૈયાર, આરોગ્ય નિષ્ણાતોએ કર્યા એલર્ટ
Image Twitter 

નવી દિલ્હી, તા. 15 જુલાઈ 2023, શનિવાર 

ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પૂરના સંકટથી ઝઝૂમી રહ્યુ છે. ગત તારીખ 13 જુલાઈના રોજ યમુના નદીમાં પાણીનું લેવલ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર 208 મીટરથી વધારે ઉંચાઈ પર પહોચી ગયું હતુ. જો કે હવે પાણીનું સ્તર ધીમે ધીમે ઘટવાનું શરૂ થયું છે પરંતુ દિલ્હીના ઘણા વિસ્તારો જેમ કે કાશ્મીરી ગેટ, આઈટીઓ અને રાજઘાટમાં હજુ પણ પુરના પાણી ઓસર્યા નથી. અને પરિસ્થિતિમાં જો પુરતુ ધ્યાન આપવામાં નહીં આવે તો જનઆરોગ્ય પર મોટું સંકટ ઊભું થઈ શકે તેવી શક્યકા રહેલી છે. આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે પૂર દરમિયાન અને જ્યારે પુરનું પાણી ઓસર્યા બાદ સ્વાસ્થ્ય સંબંધિત મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. 

ગંદા પાણીથી કોલેરા, ટાઈફોઈડ, હેપેટાઈટીસ A અને ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ જેવા રોગોનું જોખમ વધી શકે છે

આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે પુર બાદ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ વધી જાય છે. આમાં સૌથી મોટો ખતરોના ગંદા પાણીથી બીમારી  ફેલાતાની રોગોની નિષ્ણાતો ચિંતા જતાવી રહ્યા છે. યમુના નદીના પૂરનું ગંદાપાણી, ઔદ્યોગિક કચરો અને અન્ય હાનિકારક પદાર્થો સહિત વિવિધ પ્રદૂષકોથી દૂષિત થઈ શકે તેવી શક્યતા છે. આ પ્રદુષિત ગંદા પાણીથી વિવિધ રોગો ફેલાઈ શકે છે. જેવા કે કોલેરા, ટાઈફોઈડ, હેપેટાઈટીસ A અને ગેસ્ટ્રોએન્ટેરાઈટીસનું જોખમ વધી શકે છે. તેમજ પૂરના દૂષિત પાણી પીવાથી અથવા તેના સંપર્કમાં આવવાથી ચેપ લાગવાની શક્યતા રહેલી છે. પૂરના કારણે પાણી જ્યા ભેગુ થાય છે ત્યા મચ્છરોનું બ્રીડિંગ સ્થળ બની જાય છે.

મચ્છરોની સંખ્યા વધવાથી ડેન્ગ્યુ તાવ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો ઝડપથી ફેલાય છે

પૂર દરમિયાન અને તેના પછીના સમયમાં મચ્છરોની સંખ્યામાં ભયંકર વધારો થવાને કારણે ડેન્ગ્યુ તાવ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો ઝડપથી ફેલાઈ શકે છે. પૂરના દૂષિત પાણીમાં સીધો સંપર્ક થતા ચામડીના રોગોની સમસ્યાઓ અને ચેપ લાગવાનો ભય રહે છે. આ રોગ ફેલાવો કરતા જંતુઓની સંખ્યામાં વધારો થવાથી વિવિધ રોગો ફાટી નીકળવાનું જોખમ વધી શકે છે. આ ઉપરાંત દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી કોઈને વાગેલુ હોય તેવી જગ્યા પર ખાસ કરીને વધારે ચેપ લાગતો હોય છે. તેવા લોકોએ આવા સમયે ખાસ સંભાળવું જોઈએ. ગંદા પાણી અને આવી ખરાબ સ્થિતિમાં લાંબા સમય સુધી રહેવાથી ત્વચા પર ફોલ્લીઓ, દાઝવું  તેમજ ફંગલ ઇન્ફેક્શનમાં વધારો થવાની શક્યતા રહેલી છે.

Share: