એક દિવસના લગ્નમાં પતિ સામે દુષ્કર્મનો આરોપ મૂકવો કાનૂની પ્રક્રિયાના દુરુપયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ: હાઈકોર્ટ

એક દિવસના લગ્નમાં પતિ સામે દુષ્કર્મનો આરોપ મૂકવો કાનૂની પ્રક્રિયાના દુરુપયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ: હાઈકોર્ટ

image : Wikipedia 

કર્ણાટક હાઈકોર્ટે એક દિવસના લગ્નમાં પતિ સામે દુષ્કર્મ અને તેના પરિવાર સામે હેરાનગતિ કરવાની ફરિયાદને કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવતા મહિલાની ફરિયાદ પર વચગાળાનો સ્ટે મૂકી દીધો હતો. હાઈકોર્ટે આ મામલે પતિ તથા તેના પરિજનો સામે કોઈપણ પ્રકારની ગુનાઈત કાર્યવાહી કરવા પર સ્ટે આપી દીધો છે. મહિલાની ફરિયાદ વિરુદ્ધ તેના પતિ તથા પરિવારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે આ મામલે ફરિયાદી મહિલાએ ફક્ત તેના પતિ જ નહીં પણ તેના પરિવારને પણ પોતાના જાળમાં ફસાવ્યો હતો. 

આ મામલે કર્ણાટક હાઈકોર્ટે શું કહ્યું? 

આ મામલે કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે ફરિયાદી મહિલા અને તેનો પતિ બેંગ્લુરુમાં એક મલ્ટીનેશનલ કંપનીના શોરૂમમાં કામ કરતા હતા. ચાર વર્ષના પ્રેમ બાદ બંનેએ 27 જાન્યુઆરી 2023ના રોજ મંદિરમાં લગ્ન કરી લીધા અને મલ્લેશ્વરમના લગ્ન રજિસ્ટ્રાર સમક્ષ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું. લગ્નના દિવસે મહિલાનો જન્મદિવસ હતો. પતિને એ જ દિવસે તેની પત્નીના જૂના અફેર વિશે માહિતી મળી અને એવી પણ ખબર પડી કે તે વોટ્સએપ પર એક અન્ય યુવક સાથે સતત વાતો કરી રહી છે. 

લગ્નના બીજા દિવસે જ ઝઘડો થયો હતો 

આ વાત પર લગ્નના આગામી દિવસે તેમની વચ્ચે ઝઘડો થયો અને મહિલા 29 જાન્યુઆરીએ સાસરિયું છોડી જતી રહી. મહિલાએ પતિને લગ્નનો અંત આણવાની ધમકી પણ આપી. 29 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી લગભગ 32 દિવસ બંને વચ્ચે કોઈ વાતચીત ન થઈ. તેના પછી મહિલાએ પતિ પર દુષ્કર્મ તથા પરિવાર સામે ઉત્પીડનનો આરોપ મૂકી પોલીસમાં ફરિયાદ કરી દીધી.

Share: