પોસ્ટર લગાવનારાઓને ઠોકી મારો, UPની જેમ જ' ઔરંગઝૈબના પોસ્ટર વિવાદ પર સંજય રાઉતનું નિવેદન

પોસ્ટર લગાવનારાઓને ઠોકી મારો, UPની જેમ જ' ઔરંગઝૈબના પોસ્ટર વિવાદ પર સંજય રાઉતનું નિવેદન
Image : Twitter

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ઔરંગઝેબના વખાણ કરતા વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરવાને લઈને હિંસા થઈ હતી. જો કે આ હિંસા બંધ થઈ ગઈ છે, પરંતુ હવે આના પર રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી બાદ હવે આ વિવાદ પર ઉદ્ધવ જૂથના શિવસેનાના નેતા સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે પોસ્ટર લગાવનારાઓને ઠોકી દેવા જોઈએ, જેમ  યુપીમાં કરી રહ્યા છે.

કોલ્હાપુરમાં વોટ્સએપ સ્ટેટસમાં મુગલ બાદશાહ ઔરંગઝેબની તસવીર સાથે વાંધાજનક ઓડિયો પણ લગાવવામાં આવ્યો હતો જે બાદ હિંદુ સંગઠનોએ જોરદાર પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં એકઠા થઈને હંગામો કર્યો હતો. 

રાઉતે હિંસા માટે ભાજપને જવાબદાર ગણાવ્યું

સંજય રાઉતે હિંસા માટે ભાજપને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે કોલ્હાપુરમાં જે રીતે રમખાણો ફાટી નીકળ્યા કે ભડકાવવામાં આવ્યા તેની પાછળ કોણ છે? ઔરંગઝેબ જેને આપણે 400 વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાં દફનાવ્યો હતો. તેને રાજકીય લાભ માટે જીવતો કરવામાં આવી રહ્યો છે કારણ કે કર્ણાટકમાં બજરંગ બલીનો જાદુ ચાલ્યો નહીં, તેથી હવે ઔરંગઝેબને લઈને રાજકારણ કરી રહ્યા છે. આ માટે ભાજપ જવાબદાર છે.

સ્ટેટસ મૂકનારા અને હિંસા ફેલાવનારાઓ સામે કાર્યવાહી

પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઉપદ્રવ કરવાવાળા પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા અને દેખાવકારોનો ઘટનાસ્થળેથી પીછો કર્યો હતો. પોલીસે હિંસાના સંબંધમાં ત્રણ કેસ નોંધ્યા છે અને 36 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ સ્ટેટસ મુકવાના મામલે પોલીસે બે કેસ નોંધ્યા છે. આ કેસમાં પોલીસે 5 સગીરોની અટકાયત કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ વિદ્યાર્થીઓને આવું કરવા કોણે કહ્યું?

ઓવૈસીએ કહ્યું- ભાજપ મુસ્લિમોને બદનામ કરી રહી છે

આ સમગ્ર વિવાદમાં ઓવૈસીએ કહ્યું કે જો ફોટો પાડવો એ ગુનો છે તો જણાવો કે ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં આ ગુનાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જેમ તમે પ્રતિબંધિત યાદી બહાર પાડી છે, તેવી જ રીતે પ્રતિબંધિત નામોની યાદી બનાવો અને જાહેરાત કરો કે કોઈનું નામ અસદુદ્દીન ઓવૈસી ન હોઈ શકે કારણ કે તે ઉશ્કેરણીજનક ભાષણો આપે છે. ઓવૈસીએ કહ્યું કે ભાજપે એ પણ જાહેરાત કરવી જોઈએ કે ગોડસે, આપ્ટે, ​​મદનલાલના નામ પ્રતિબંધિત યાદીમાં નહીં હોય કારણ કે તેઓ પ્રિય છે. ઓવૈસીએ વધુમાં કહ્યું કે ભાજપ મહારાષ્ટ્રમાં ઈસ્લામને બદનામ કરી રહી છે અને આરોપ લગાવ્યો કે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં રમખાણ કરાવવાનું બીજેપીનું કાવતરું છે. AIMIMના વડાએ કહ્યું કે ફડણવીસ કોને ઔરંગઝેબનો પુત્ર કહી રહ્યા છે? એવો પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું કે ફડણવીસે જણાવવું જોઈએ કે ગોડસેનો પુત્ર કોણ છે?

ફડણવીસે વળતો પ્રહાર કર્યો

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ઔરંગઝેબ વિરુદ્ધ ગોડસે કરનાર ઓવૈસીએ યાદ રાખવું જોઈએ કે તેમની પાર્ટીના નેતાએ અહમદનગરમાં ઔરંગઝેબનું પોસ્ટર લહેરાવ્યું હતું. આ પછી જ 5 સગીરોએ ઔરંગઝેબનો ફોટો વોટ્સએપ સ્ટેટસ પર મૂક્યો હતો. મહારાષ્ટ્રમાં 400 વર્ષ બાદ મુઘલ બાદશાહને તેમની કબરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવાવાળા પણ ઓવૈસીની પાર્ટીના જ હતા. એક સમયે AIMIM નેતાએ ઔરંગાબાદમાં ઔરંગઝેબની કબરની પ્રશંસા કરી હતી. હવે તે મહારાષ્ટ્ર સરકાર અને ભાજપ પર મુસ્લિમોને બદનામ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ મહારાષ્ટ્રમાં મિશન 2024ને લઈને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આખરે તમારી રાજનીતિ શું છે?

Share: