ભાજપના સ્થાપના દિવસે યોજાશે ઘણા કાર્યક્રમો, 6 એપ્રિલે PM મોદીનું ભાષણ

ભાજપના સ્થાપના દિવસે યોજાશે ઘણા કાર્યક્રમો, 6 એપ્રિલે PM મોદીનું ભાષણ

નવી દિલ્હી, તા.05 એપ્રિલ-2023, બુધવાર

ભારતીય જનતા પાર્ટી તેના સ્થાપના દિવસ પર દેશભરમાં મોટા કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. 4 રાજ્યોમાં જીત બાદ ભાજપ કાર્યકર્તાઓ પણ ઉત્સાહિત છે. મળતા અહેવાલો મુજબ 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ઘણા કાર્યક્રમો યોજાશે. 6 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ કરશે, જેનું તમામ પાર્ટી કાર્યાલયોમાં ઓનલાઈન પ્રસારણ કરાશે… દેશમાં ઘણી જગ્યાએ રેલીઓ અને ધ્વજારોહણ સમારોહ પણ યોજાશે. આંબેડકર જયંતિ નિમિત્તે 14 એપ્રિલે કાર્યક્રમનું સમાપન થશે, જેમાં બૂથ લેવલના કાર્યકરો બાબા આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે.

ધ્વજવંદન, શોભાયાત્રા પણ યોજાશે

મળતા અહેવાલો મુજબ પક્ષ દ્વારા સ્થાપના દિવસને ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ કરી લેવાઈ છે, જેમાં 6 એપ્રિલે સવારે 10 વાગે PM મોદીનું ભાષણ યોજાશે. આ માટે ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓએ સવારે 9 વાગ્યાથી પોતપોતાના કાર્યાલય પર પહોંચીને ત્યાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે. આ દિવસે પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ પક્ષની કેપ પહેરશે. ધ્વજ ફરકાવ્યા બાદ દરેકે એક રેલી કાઢવાની રહેશે અને આ શોભાયાત્રા લગભગ 20 મિનિટની હશે.

રક્તદાન શિબિરો સહિતના કાર્યક્રમો યોજાશે

ભાજપે પોતાના કાર્યકર્તાઓને રક્તદાન શિબિરનું આયોજન કરવા કહ્યું છે. ઉપરાંત મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણને લગતી માહિતી આપવાના કાર્યક્રમો પણ યોજાવા જોઈએ. રસીકરણ કેમ્પનું આયોજન કરીને લોકોને જાગૃત કરવા પણ ભાજપે કહ્યું છે.

Share: