ગુજરાતના 2 ઍરપોર્ટ પર આ 6 દેશથી આવતા પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

ગુજરાતના 2 ઍરપોર્ટ પર આ 6 દેશથી આવતા પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

અમદાવાદ, 29 ડિસેમ્બર 2022, ગુરૂવાર

સમગ્ર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે. જેને લઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એક એડવાઈઝરી મોકલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તમામ હોસ્પિટલોમાં ઓક્સીજનની સુવિધા પર્યાપ્ત માત્રામાં છે કે નહીં તેની ચકાસણી કરી લે. કેન્દ્ર સરકાર કોરોના મામલે સતત સમીક્ષા કરી રહી છે. સરકારે ચીન, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા અને જાપાનથી આવનારા યાત્રિઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. કેન્દ્ર સરકારની નવી ગાઈલાઈન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ અને સુરત એરપોર્ટ ખાતે વિદેશીથી આવતા પ્રવાસીઓ માટે RTPCRટેસ્ટ ફરજિયાત કરાશે. 

દેશમાં હાલ કોરોનાના કેસો ઓછા છે
ભારત કોરોનાનની ત્રણ લહેરોમાંથી પસાર થઈ ચૂક્યો છે. ગત વર્ષે આવેલી બીજી લહેરમાં હોસ્પિટલોની હાલત ખરાબ થઈ ગઈ હતી. દિલ્હી સહિત દેશના મોટાભાગના શહેરોમાં ઓક્સિજનની અછતને લીધે આરોગ્ય સેવાઓની કમર તોડી નાંખી હતી. નવી એડવાઈઝરીમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, તમામ રાજ્યોએ ઓક્સિજનની માત્રા કેટલી છે તે ચોક્કસ પણે ચકાસી લેવું જોઈએ. તે ઉપરાંત પ્રેશર સ્વિંગ એડસોર્પ્શનને તૈયાર રાખે. તેમણે કહ્યું હતું કે, દેશમાં હાલ કોરોનાના કેસો ઓછા છે. જેમાં કોઈ વધારો નથી થયો. 

નવા વર્ષની ઉજવણી દરમિયાન નિયમોનું પાલન કરવા સૂચના
આરોગ્ય સચિવના જણાવ્યા મુજબ મહામારી વચ્ચે સરકારનું એવું કહેવું છે કે તમામ રાજ્યો ઓક્સીજન કોન્સેન્ટ્રેટર, ઓક્સીજન સિલેન્ડર અને તેના ઈન્ફાસ્ટ્રક્ટરને તૈયાર રાખે. આ દરમિયાન એ બાબતનો ખ્યાલ રાખવામાં આવે કે તે વધુ મોંઘા ના હોય. રાજ્યોએ મોકડ્રિલ કરવી જોઈએ. સ્ટાફના મુદ્દાને સરળતાથી સુલજાવવો જોઈએ. તેમજ લાઈફ સપોર્ટ સિસ્ટમને પ્રાથમિકતા આપવી જોઈએ. સરકારે અગાઉ એવું પણ કહ્યું હતું કે નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે. 

ઓમિક્રોનના BF7 વેરિયન્ટે હાહાકાર મચાવી દીધો છે
કેન્દ્ર સરકારે માસ્કને હાલમાં ફરજિયાત નથી કર્યા. પરંતુ સરકારે એવું કહ્યું છે કે લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ. વિશ્વના દેશોમાં કોરોનાને લઈને ભારતની સ્થિતિ વધુ સારી છે. ભારતમાં અમેરિકા બાદ સૌથી ઓછા કેસ નોંધાઈ રહ્યાં છે. જ્યારે ચીનમાં ઓમિક્રોન bf7 વેરિયન્ટે હાહાકાર મચાવી દીધો છે. ચીનમાં કોરોનાથી હાલત એટલી ખરાબ થઈ ચુકી છે કે, હોસ્પિટલમાં બેડ, દવા અને આઈસીયૂની ભારે કમી સર્જાઈ છે, જ્યારે શ્મશાન ઘાટ પર પણ ભારે ભીડ થઈ છે.  

રાજ્ય સરકારે કેન્દ્ર પાસે વેક્સિનનો નવો સ્ટોક માંગ્યો
આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે વેક્સિનનો નવો જથ્થો માંગ્યો છે. 12 લાખ જેટલા વેક્સિનના ડોઝ મંગાવી લેવાયા છે. સરકાર દ્વારા ફરીવાર પ્રિકોશન ડોઝની ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજયમાં વેક્સિનનો જથ્થો ઓછી સંખ્યામાં બગડ્યો છે. સામાન્ય રીતે કહીએ તો પુરેપુરા જથ્થાનો રાજ્યમાં વપરાશ કરવામાં આવ્યો છે. વેક્સિનના જથ્થાને એક્સપાયરી પહેલાં જ જ્યાં જરૂર હોય ત્યાં મોકલી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે કોવિશિલ્ડ અને કોવેક્સિન વેક્સિનનો જથ્થો મંગાવ્યો છે.

Share: