દેશમાં કોરોનાની સાથે જો આ બિમારીના દર્દીમાં વધારો થશે તો ભારત માટે ચિંતાનો વિષય

દેશમાં કોરોનાની સાથે જો આ બિમારીના દર્દીમાં વધારો થશે તો ભારત માટે ચિંતાનો વિષય

Image: envato

વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાના નવા જોખમ અંગે ફરી ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને દેખરેખ વધારવા અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંકળાયેલા અહેવાલોએ કહ્યું કે, જો દેશમાં કોરોનાથી સંબંધિત કેસો અથવા શ્વાસ સંબંધી દર્દીઓમાં અચાનક વધારો થાય છે, તો તે આપણા માટે જોખમકારક સાબિત થઇ શકે છે. તેથી જ તમામ હોસ્પિટલોએ  સાવચેતી અને સતત નજર રાખવી જોઈએ. દર્દીઓની સંખ્યામાં કોઈપણ અસામાન્ય વધારો ઓળખવો જોઈએ અને તે અંગે નોંધ લેવી જોઈએ. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, રાજ્યએ હોસ્પિટલોમાં કોરોના વાયરસના કેસ પર પણ નજર રાખવી જોઈએ.

આરોગ્ય અધિકારીએ કહ્યું કે, શ્વાસ સંબંધી રોગોના દર્દીઓના 25 થી 30 ટકા કેસ કોરોના પોઝિટિવમાં ફેરવાય છે. આથી આ બાબતોની તપાસ કરવી જરૂરી છે. આ ઋતુમાં શરદી કે ઠંડા હવામાનથી ફ્લૂના કેસમાં વધારો જોવા મળતો હોય છે માટે તેને લઇ સાવચેતી વર્તવી જરૂરી છે.

રાજ્યોમાં કાલથી શરુ થશે  મોકડ્રીલ
કેન્દ્રની સૂચના પર દેશભરની હોસ્પિટલોમાં કાલથી યોજાનારી મોકડ્રીલની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે રાજ્યોને મોક ડ્રીલ માટે એક ફોર્મ પૂરું પાડ્યું છે, જેને કોવિન ઈન્ડિયા પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ફોર્મ મોક ડ્રીલની સાથે ભરવાનું રહેશે અને તે જ સમયે અપલોડ કરવાનું રહેશે તેમજ દિલ્હીમાં કોરોના વોર્ડ રૂમને માહિતી આપવાની રહેશે. આ માહિતી આપતા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, દેશના તમામ આરોગ્ય કેન્દ્રો પર 27મી ડિસેમ્બરે સવારે મોકડ્રીલ યોજાવા જઈ રહી છે.

Share: