સરકારી કંપની CONCORને ખરીદશે અદાણી ગ્રુપ

સરકારી કંપની CONCORને ખરીદશે અદાણી ગ્રુપ

અમદાવાદ,તા.20 ઓક્ટોબર 2022,ગુરૂવાર

ભારતના સૌથી મોટા ધનકુબેર તેમની સંપત્તિમાં થઈ રહેલ વધારાની ઝડપે જ હવે કારોબારના વિસ્તરણ માટે દોટ મુકી રહ્યાં છે. આ સપ્તાહે જ ડિફેન્સ કંપનીનું હસ્તાંતરણ કર્યા બાદ હવે મળતી માહિતી પ્રમાણે અદાણી ગ્રુપ જાહેર ક્ષેત્રની કોનકોરને ખરીદી માટે આગળ વધી રહી છે.

રિપોર્ટ અનુસાર ભારતીય રેલવેના કન્ટેનર ડેપોનું સંચાલન કરતી કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(CONCOR)ને ખરીદવા માટે અદાણી સમૂહ સોદાની નજીક છે. આગામી થોડા મહિનામાં જ કન્ટેનર કોર્પ અદાણી ગ્રૂપ કંપનીનો ભાગ બની જશે.

ગૌતમ અદાણીના પુત્ર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કરણ અદાણીએ જણાવ્યું છે કે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડને હસ્તગત કરવા માટે આક્રમકથી રોકડ અને દેવું ઉભું કરી રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે CONCORના વિનિવેશ માટેનો રોડશોનો પણ ગઈકાલે પ્રારંભ કર્યો છે. CONCORની માલિકી હાલ ભારતીય રેલવે પાસે છે. કેન્દ્રીય મંત્રીમંડળ 7 સપ્ટેમ્બરે ભારતીય રેલ્વેની જમીનની લાંબા ગાળાના લીઝની નીતિને મંજૂરી આપી હતી. જેમાં જમીનની લાયસન્સ ફી 6 ટકાથી ઘટાડીને 1.5 ટકા કરી અને લીઝનો સમયગાળો પણ પાંચ વર્ષથી વધારીને 35 વર્ષ કર્યો છે.

રેલ્વેની લેન્ડ પોલિસીમાં આ સુધારો ખાનગી રોકાણકારોને ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સરકારનો હિસ્સો ખરીદવા માટે આકર્ષિત કરશે તેવી શક્યતા છે, જેનાથી તેના વિનિવેશની પ્રક્રિયા ઝડપી બનશે.

નવેમ્બર 2019માં, કેન્દ્રિય મંત્રીમંડળે મેનેજમેન્ટ કંટ્રોલના ટ્રાન્સફરની સાથે કન્ટેઇનર કોર્પોરેશનમાં સરકારનો 30.8 ટકા હિસ્સો વેચવાની મંજૂરી આપી હતી.

Share: