અમારી સાથે આવી જાવ, યોગ્ય સન્માન અને પદ આપીશું: નીતિન ગડકરીને કોંગ્રેસની ઓફર

અમારી સાથે આવી જાવ, યોગ્ય સન્માન અને પદ આપીશું: નીતિન ગડકરીને કોંગ્રેસની ઓફર

કોલકાતા, તા. 10 સપ્ટેમ્બર 2022, શનિવાર

બીજેપીના સંસદીય બોર્ડમાં સ્થાન મળતા વધુ એક ઉગતા ચહેરાને મોદી સરકારે નમસ્કાર કહીને કદ ઘટાડી દીધું હોવાનું બજાર વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું હતુ. જોકે મોદી સરકારે તેમને કેન્દ્રીય કેબિનેટમાં આપેલ ખાતાઓમાં કોઈ ફેરફાર નથી કર્યો પરંતુ બોર્ડમાંથી ગડકરીને બાકાત રખાતા રાજકરણ ગરમાયું છે.

કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લઈને મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે ભાજપમાં સર્વત્ર આંતરિક ખટરાગ છે. નીતિન ગડકરી પણ ભાજપમાં નારાજ છે અને ત્યાં તેમની સ્થિતિ સારી નથી. અમે તેમને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપીએ છીએ. તેઓ અમારી સાથે આવે અમે તેમને સમર્થન આપીશું.

નાના પટોલે અકોલામાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કોંગ્રેસ એક મોટી લોકતાંત્રિક પાર્ટી છે. આમાં કોઈપણ પદાધિકારી નેતાને બોલવાનો પૂરો અધિકાર છે પરંતુ ભાજપમાં એવું નથી. હાલમાં જે રીતે નીતિન ગડકરીની હાલત પાર્ટીમાં ચાલી રહી છે તે યોગ્ય નથી.

કેન્દ્ર વિરુદ્ધ બોલવા બદલ ED-CBI ઉભા કરાય છે :

પટોલે કહ્યું નીતિન ગડકરી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. હું તેમને આમંત્રણ આપું છું. આવો અમારી સાથે જોડાઓ. તમને યોગ્ય માન, સન્માન અને પદ મળશે. અમે તમને ટેકો આપવા તૈયાર છીએ. કેન્દ્ર સરકાર વિરુદ્ધ બોલનાર પર ED-CBI લાદવામાં આવે છે. BJPના જ અનેક દિગ્ગજ નેતાઓ આ વાતથી નારાજ છે અને ગડકરી પણ તેમાનાં એક છે.

પટોલેએ કહ્યું કે અમે ટૂંક સમયમાં ગડકરીને મળવાના છીએ. અમે આ મામલે તેમની સાથે વાતચીત કરીને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપીશું. 

અખિલેશે પણ કરી છે ઓફર :

આ અગાઉ ઉત્તર પ્રદેશમાં પણ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને યોગી સરકારમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને લઈને ઓફર કરવામાં આવી હતી. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ બિહારના રાજકીય ઘટનાક્રમથી બોધપાઠ લેવો જોઈએ. અખિલેશે કહ્યું કે જો તે પોતાના 100 ધારાસભ્યો સાથે સપામાં જોડાશે તો હું તેમને મુખ્યમંત્રી બનાવીશ.

Share: