મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના, રથયાત્રામાં નહિ જોડાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના, રથયાત્રામાં નહિ જોડાય


– બુધવારે યોજાનારી કેબિનેટની બેઠક પણ થઈ રદ

અમદાવાદ,તા.29 જુન 2022,બુધવાર

કોરોના મહામારીની નવી લહેર ફરી ભરડો લઈ રહી છે. ગુજરાત સહિત દેશમાં કોરોનાના નવા કેસોમાં એકએક વધારો થઈ રહ્યો છે તેવામાં હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે.

સામાન્ય જનાતાની સાથે ટોચના નેતાઓ અને અગ્રણી લીડર્સો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. આજે યોજાયેલ કેબિનેટ બેઠકમાં પણ તેઓ હાજર નહોતા રહી શક્યા. 

સામાન્ય રીતે મંગળવારનો દિવસ મુખ્યમંત્રી આમજનતાને મળતા હોય છે પરંતુ ગઈકાલે અચોક્કસ કારણોસર તેઓ કાર્યાલય પર આવશે નહીં તેવા સંદેશાની સાથે આજે બુધવારે યોજાનારી કેબિનેટની બેઠક રદ કરવામાં આવી હોવાના સચિવ કક્ષાએથી સંદેશો પાઠવતા પાટનગર વર્તુળમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

આજે સમગ્ર દિવસ દરમિયાન સરકાર કે ભાજપના કોઈ મોટા કાર્યક્રમો નથી કે ગુજરાતમાં કોઈ મહત્વની વ્યક્તિની પણ મુલાકાત નથી થઈ. એક સમયે મુખ્યમંત્રી અને પાટીલે પોતાની તમામ મુલાકાતોને કાર્યક્રમો રદ કરી ને સમય અનામત કરી દેતા અનેક તર્ક સર્જાયો છે. ક્યાંક મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ હોવાની વાતો પણ ચાલી રહી છે. ગઇકાલે મોડી રાત્રે મુખ્યમંત્રીને કોરોના થયો હોવાની આશંકા જતાવતા  સંદેશાઓ પણ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા.

કોઈ ચોક્કસ વ્યૂહાત્મક બાબતને લઈ ને ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલ વચ્ચે મુખ્યમંત્રી નિવાસસ્થાને બંધબારણે બેઠક થઈ હોવાનું પાટનગરમાં ચર્ચાઈ રહ્યું છે.

રથાયાત્રામાં નહિ જોડાઈ શકે :

આજથી અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ત્રણ દિવસના કાર્યક્રમની શરુઆત થવા જઈ રહી છે. રથયાત્રા પૂર્વે પરંપરા અનુસાર મુખ્યમંત્રીના હસ્તે ભગવાનના રથમાં પહિંદ વિધિ કરવામાં આવે છે આગલા દિવસે અને સવારે પણ વિશેષ પૂજા અર્ચનમાં પણ મુખ્યમંત્રી હાજરી આપી રહ્યા હોય છે પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે કોઈપણ જાહેરાત નહીં થવાના કારણે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.

આ અગાઉ ગાંધી પરિવાર સહિત અનેક ટોચના નેતાઓ પણ કોરોના સંક્રમિત થયા હતા અને ગત સપ્તાહે જ મુખ્યસચિવ પંકજ કુમારને પણ કોરોના થયો હતો.

કોરોનાનો વધતો પ્રકોપ :

કોરોનાની નવી લહેર ધીરે ધીરે ગુજરાતમાં પ્રસરી રહી છે અને તેમાં અમદવાદ ખાતે સૌથી વધુ કેસ નોંધાયા છે. થોડા દિવસ પહેલા રાજ્યના કેબીનેટ મંત્રી હ્રીશીકેશ પટેલને પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. છેલ્લા ૧૫ દિવસથી ગુજરાત અને દેશમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે મંગળવારે જ દેશભરની રાજ્ય સરકારોને તહેવારો પહેલા કોરોનાના કેસ ફેલાય નહી તે માટે યોગ્ય પગલાં લેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં મંગળવારે ૪૭૫ કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદ ખાતે ૨૧૧ કેસ હતા. સમગ્ર દેશમાં ૧૪,૫૦૬ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જોવા મળી છે. 

ગત વર્ષે નીતિન પટેલ, વિજય રૂપાણી પણ પોઝીટીવ આવેલા :

ગત વર્ષે પૂવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ કોરોના થયો હતો અને સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. સદનસીબે પટેલ જયારે કોરોના પોઝીટીવ જાહેર થયા એ દિવસે એ આખો દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યકમોમાં જોડાયા હતા. ગુજરાતમાં અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ કોરોના થયો હતો.

વધુ વાંચો: ધાર્મિક મેળાવડાઓમાં ભાગ લેનારા વેક્સિનેટેડ હોય તે સુનિશ્રિત કરવા રાજ્યોને તાકીદ

Share: