'હિજાબ, હલાલ, અજાન' બાદ કર્ણાટકમાં કેબ ડ્રાઈવર્સને લઈ હોબાળો, જાણો સમગ્ર કેસ

'હિજાબ, હલાલ, અજાન' બાદ કર્ણાટકમાં કેબ ડ્રાઈવર્સને લઈ હોબાળો, જાણો સમગ્ર કેસ


– હિંદુ અને મુસલમાન એક સાથે રહેવા ઈચ્છે છે પરંતુ વોટ મેળવવા માટે કોંગ્રેસ નથી ઈચ્છતી કે બંને સમુદાય એક સાથે રહે: ઈશ્વરપ્પા

બેંગલુરૂ, તા. 09 એપ્રિલ 2022, શનિવાર

કર્ણાટકમાં દક્ષિણપંથી સમૂહ ભારત રક્ષણા વેદિકે શુક્રવારે હિંદુઓને મુસ્લિમ કેબ, ટૂર અને ટ્રાવેલ ઓપરેટર્સ પાસેથી સેવાઓ ન લેવા માટે અપીલ કરી હતી. કર્ણાટકમાં હિજાબ વિવાદ બાદ આ પ્રકારના સમાચાર સામાન્ય બની ગયા છે. કદીક ‘હલાલ મીટ’ને લઈ વિવાદ થાય છે તો કદીક મંદિર પરિસરોમાં બિનહિંદુઓને વ્યવસાય માટે પ્રતિબંધિત કરવાને લઈ વિવાદ થતો રહે છે. 

તાજેતરની ઘટનામાં ભારત રક્ષણા વેદિકે સમૂહના સદસ્યોએ કર્ણાટકના બેંગલુરૂ સહિતના અનેક પ્રદેશોમાં ફરીને લોકોને ખાસ કરીને હિંદુ મંદિરો કે તીર્થ યાત્રા પર જવા માટે મુસ્લિમ કેબ ડ્રાઈવર્સની સેવાઓ ન લેવા માટે અપીલ કરી હતી. 

ભારત રક્ષણા વેદિકેના પ્રમુખ ભરત શેટ્ટીના કહેવા પ્રમાણે ‘જ્યારે આપણે મંદિરો કે ધાર્મિક સ્થળોએ જઈએ છીએ ત્યારે માંસાહાર નથી કરતા. કોઈ એવી વ્યક્તિને સાથે લઈ જવી જે આપણા દેવતાઓમાં વિશ્વાસ નથી રાખતી કે આપણને પોતાના ભોજન વિકલ્પો દ્વારા અશુદ્ધ કરે છે તે આપણી સંસ્કૃતિ અને ધર્મનો અનાદર ગણાશે. તેઓ આપણને કાફિર (બિન-આસ્તિક) ગણે છે અને જે રીતે તેમના માટે તેમનો ધર્મ મહત્વપૂર્ણ છે તેવી રીતે આપણો ધર્મ આપણા માટે મહત્વપૂર્ણ છે.’

આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે કર્ણાટકમાં હિજાબ, હલાલ, માંસ અને મસ્જિદોમાં અજાન જેવા મુદ્દાઓને લઈ પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે. 

કોંગ્રેસને જવાબદાર ઠેરવી

ભરત શેટ્ટીએ જણાવ્યું કે, કોરોનાના પગલે લોકડાઉન દરમિયાન આર્થિક પડકારોને કારણે અનેક હિંદુઓએ પોતાની કેબ વેચી દેવી પડી. બહુસંખ્યક સમુદાયનું કર્તવ્ય એ હતું કે, તેઓ પહેલા પોતાના લોકોની સંભાળ રાખે. કર્ણાટકની 7 કરોડની વસ્તીમાં મુસલમાનોની સંખ્યા આશરે 13% જેટલી છે. 

કર્ણાટકના ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ હિજાબ વિવાદ મુદ્દે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, જ્યારે હિજાબ વિવાદ શરૂ થયો ત્યારે એક શાળામાં 96 મુસ્લિમ વિદ્યાર્થીઓ હતા જે અનેક દશકાઓથી ડ્રેસ પહેરીને આવી રહ્યા હતા. તેમાંથી 6 જણાં અલગ પડ્યા અને ડ્રેસના બદલે એવું કહીને હિજાબ પહેરવા પર ભાર મુક્યો કે, તેઓ શિક્ષણ છોડશે પરંતુ પોતાની આસ્થા નહીં. જો કોંગ્રેસે તે દિવસે સમજાવી લીધા હોત તો વિવાદ આટલો ન વધેત. 

કેએસ ઈશ્વરપ્પાએ વધુમાં જણાવ્યું કે, હિંદુ અને મુસલમાન એક સાથે રહેવા ઈચ્છે છે પરંતુ વોટ મેળવવા માટે કોંગ્રેસ નથી ઈચ્છતી કે બંને સમુદાય એક સાથે રહે. આ બધું હિજાબ, હલાલ વગેરે કોંગ્રેસના કરતૂતો છે. 

કર્ણાટક સ્ટેટ ટ્રાવેલ ઓપરેટર્સ એસોસિએશનના અધ્યક્ષ રાધાકૃષ્ણ હોલ્લાએ જણાવ્યું કે, ટુરિઝમ સેક્ટર અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં ભાષા, ધર્મ અને જાતિ કદી અડચણરૂપ નથી રહ્યા. તેને અડચણરૂપ બનાવાઈ રહ્યું છે. 

Share: