હિંસા-આગજની-રસ્તાઓ પર લોકોના ટોળાં, શ્રીલંકામાં બેકાબૂ સ્થિતિ વચ્ચે ઈમરજન્સી લાગુ

હિંસા-આગજની-રસ્તાઓ પર લોકોના ટોળાં, શ્રીલંકામાં બેકાબૂ સ્થિતિ વચ્ચે ઈમરજન્સી લાગુ


– ઈમરજન્સીના નિયમો અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ પણ સંપત્તિ પર કબજો જમાવવાનો અને કોઈ પણ પરિસરની તલાશી લેવા માટે કસ્ટડીને અધિકૃત કરી શકે છે

કોલંબો, તા. 02 એપ્રિલ 2022, શનિવાર

શ્રીલંકામાં આગજની, હિંસા, પ્રદર્શન, સરકારી સંપત્તિઓમાં તોડફોડ વગેરે ચાલી રહ્યું છે. લાંબા પાવર કટ, ખાવા-પીવાની ચીજ વસ્તુઓની તંગીનો સામનો કરી રહેલા ભારતના આ પાડોશી દેશમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ઈમરજન્સી લાગુ કરી દીધી છે. 

પહેલી એપ્રિલથી ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે, આવશ્યક વસ્તુઓનો સપ્લાય જાળવી રાખવા માટે આવું કરવું જરૂરી બની ગયું છે. 

આ પ્રકારની ઈમરજન્સી દ્વારા રાષ્ટ્રપતિ રાજપક્ષેએ પબ્લિક સિક્યોરિટી અધ્યાદેશની જોગવાઈઓને લાગુ કરી દીધી છે. તેનાથી તેમને સાર્વજનિક સુરક્ષા, સાર્વજનિક વ્યવસ્થાના સંરક્ષણ, વિદ્રોહના દમન, હુલ્લડો કે નાગરિકો દ્વારા કરવામાં આવતા તોફાનો, આવશ્યક વસ્તુઓના સંગ્રહને લઈ નિયમો બનાવવાનો અધિકાર મળી ગયો છે. ઈમરજન્સીના નિયમો અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ પણ સંપત્તિ પર કબજો જમાવવાનો અને કોઈ પણ પરિસરની તલાશી લેવા માટે કસ્ટડીને અધિકૃત કરી શકે છે. તેઓ કોઈ પણ કાયદાને બદલી કે સસ્પેન્ડ પણ કરી શકે છે. 

Share: