ભાગેડુ આરોપીઓ બાકી દેવુ ચુકવવા તૈયાર હોય તો તેમને ભારત પાછા આવવા દેવા જોઈએઃ સુપ્રીમ કોર્ટનુ સરકારને સૂચન

ભાગેડુ આરોપીઓ બાકી દેવુ ચુકવવા તૈયાર હોય તો તેમને ભારત પાછા આવવા દેવા જોઈએઃ સુપ્રીમ કોર્ટનુ સરકારને સૂચન

નવી દિલ્હી, તા. 2. ફેબ્રુઆરી 2022 બુધવાર

બેન્કોની હજારો કરોડોની લોન ચુકવ્યા વગર પરદેશ જતા રહેલા નિરવ મોદી અને વિજય માલ્યા જેવા વ્યવસાયીઓ પર સુપ્રીમ કોર્ટે મોટુ નિવેદન આપ્યુ છે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, જો ભાગેડુ વ્યવસાયીઓ પૈસા ચુકવવા માટે તૈયાર હોય તો તેમને ભારત પાછા આવવા દેવા પર અને તેમની સામે ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી રોકવા પર વિચાર કરવો જોઈએ.

સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે સરકારને સલાહ આપતા કહ્યુ હતુ કે, ભાગેડુ ઉદ્યોગપતિઓ સામેની કાર્યવાહીમાં વર્ષો લાગી શકે છે અને તેમને ભારત પાછા લાવવાના પ્રયાસમાં સરકારની એજન્સીઓ સફળ પણ થઈ શકે છે અને નિષ્ફળ પણ જઈ શકે છે.આવામાં જો ભાગેડુઓ પૈસા પાછા આપવા તૈયાર હોય તો સરકારે તેમને સુરક્ષા આપવા પર વિચાર કરવો જોઈએ અને તેઓ દેશમાં પાછા ફરે તે પછી તેમની ધરપકડ નહીં કરવા પર પણ વિચારણા કરવી જોઈએ.

સ્ટર્લિંગ ગ્રૂપના પ્રમોટરોની સાથે બેંકોના 14500 કરોડ રુપિયાની લોનના ગોટાળામાં આરોપી હેમત હાથીની પિટિશનની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે્ ઉપરકોત્ સૂચન આપ્યુ હતુ. આ તમામ આરોપીઓ પણ વિદેશમાં છે.

હેમંત હાથીએ પૈસા પાછા આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે પણ દેશમાં પાછા ફરતી વખતે એજન્સીઓ દ્વારા કેસ ચલાવે નહીં તે માટે સુપ્રીમ કોર્ટ પાસે સુરક્ષા માંગતી પિટિશન કરી છે.તેમનુ કહેવુ છે કે, મારે 1500 કરોડ રુપિયા ચુકવવાના છે અને તેમાંથી 600 કરોડ રુપિયા બેન્કોને મેં ચુકવી દીધા છે અને બાકીની રકમ ચુકવવા માટે આશ્વાસન આપ્યુ છે.

આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, જો ભાગેડુ આર્થિક અપરાધી પૈસા પાછા આપવા માંગતો હોય અને દેશ પાછો ફરવા તૈયાર હોય તો સરકારે તેની સામે ગુનાઈત કાર્યવાહી રદ કરવી જોઈએ, તેને બિઝનેસ માટે દેશમાં ગમે ત્યાં જવા મંજૂરી આપવી જોઈએ અને તેના પર કોઈ દંડનાત્મક કાર્યવાહી કરવી જોઈએ નહી.

Share: