અમર જવાન જ્યોતિ બૂઝાવીને નેતાજીને સન્માન આપી શકાય નહીં, મમતા બેનરજીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

અમર જવાન જ્યોતિ બૂઝાવીને નેતાજીને સન્માન આપી શકાય નહીં, મમતા બેનરજીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

નવી દિલ્હી, તા. 23. જાન્યુઆરી. 2022 રવિવાર

સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝની આજે જન્મ જયંતિ નિમિત્તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેમની પ્રતિમાને શ્રધ્ધાંજલિ આપી હતી.

તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, વોર મેમોરિયલ પર રાજનીતિ થઈ રહી છે પણ શહીદોમાં ભેદભાવ થવો જોઈએ નહીં.ઈતિહાસને ખતમ કરવાની કોશિશ થઈ રહી છે.અમર જ્યોતિ બૂઝાવીને અને બીજી તરફ નેતાજીની પ્રતિમા સ્થાપિત કરીને તેમને સન્માન આપી શકાય નહીં.

તેમણે કહ્યુ હતુ કે, બંગાળમાં તો નેતાજીની પ્રતિમા પહેલેથી સ્થાપિત છે.કેન્દ્ર સરકાર હવે નેતાજીની પ્રતિમા સ્થાપવા જઈ રહી છે.

મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, નેતાજી માત્ર બંગાળના નથી પણ આખા વિશ્વના છે.તેમના નામ પર અમે એક સ્પોર્ટસ યુનિવર્સિટીની સ્થાપના કરીશું.તેમના નામ પર સ્મારક બનાવવામાં આવશે.નેતાજીએ જ પ્લાનિંગ કમિશનની યોજના બનાવી હતી પણ હાલની સરકારે પ્લાનિંગ કમિશન નાબૂદ કરી દીધુ છે.અમે બંગાળમાં પ્લાનિંગ કમિશન બનાવીશું.

તેમણે આગળ કહ્યુ હતુ કે, દરેક સ્કૂલમાં નેતાજીની જય હિંદ સેના જેવી સેના બનાવવામાં આવશે.કોરોનાના કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે.અલીપુર સેન્ટ્રલ જેલમાં એક મ્યુઝિમ બનાવાશે.આ સરકારે નેતાજીને લગતા રહસ્યનો ખુલાસો કરવાનુ વચન આપ્યુ હતુ પણ હજી આ દિશામાં કોઈ કાર્યવાહી કરી નથી.બંગાળ સરકારે નેતાજી સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો જાહેર કરી દીધા છે.બંગાળનો ઈતિહાસ ભારતનો ઈતિહાસ છે અને વિશ્વનો પણ ઈતિહાસ છે.વોર મેમોરિયલને લઈને રાજનીતિ કરી રહેલી કેન્દ્ર સરકાર શહીદોના નામે પણ ભાગલા પાડી રહી છે.

Share: