PM મોદીની જાહેરાતઃ હવેથી 16મી જાન્યુઆરીએ ઉજવાશે 'નેશનલ સ્ટાર્ટઅપ ડે'

PM મોદીની જાહેરાતઃ હવેથી 16મી જાન્યુઆરીએ ઉજવાશે 'નેશનલ સ્ટાર્ટઅપ ડે'


– વડાપ્રધાને કહ્યું કે, ‘આ દશકાને ભારતનો Techade (પ્રોદ્યોગિક દશક) કહેવામાં આવી રહ્યો છે

નવી દિલ્હી, તા. 15 જાન્યુઆરી, 2022, શનિવાર

દેશનું ભવિષ્ય કેવું હોય તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવિષ્યના કારોબારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી રહ્યા છે. Start-Up Indiaના 6 વર્ષ પૂર્ણ થવા પર વાતચીત દરમિયાન વડાપ્રધાને દેશમાં ઉભરતા સ્ટાર્ટઅપ્સની પ્રશંસા કરી હતી. 

National Start-Up Day ઉજવવાની જાહેરાત

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશના એ તમામ સ્ટાર્ટઅપ્સને, તમામ ઈનોવેટિવ યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, જેઓ સ્ટાર્ટઅપની દુનિયામાં ભારતનો ઝંડો બુલંદ કરી રહ્યા છે. સ્ટાર્ટઅપનું આ કલ્ચર દેશના છેવાડા સુધી પહોંચે તે માટે 16 જાન્યુઆરી હવેથી  નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ ભારતનો Techade છે

વડાપ્રધાને કહ્યું કે, ‘આ દશકાને ભારતનો Techade (પ્રોદ્યોગિક દશક) કહેવામાં આવી રહ્યો છે. આ દશકામાં ઈનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે સરકાર મોટા પાયે ફેરફાર કરી રહી છે.’ 

વડાપ્રધાને ઉદ્યમશીલતા, ઈનોવેશનને સરકારી પ્રક્રિયાઓની જાળમાંથી મુક્ત કરાવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, ઈનોવેશનને પ્રમોટ કરવા માટે ઈન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમનું નિર્માણ કરવું પડશે. 

બાળપણથી ઈનોવેશન વધારવા પ્રયત્ન

વડાપ્રધાને કહ્યું કે, ‘અમારો પ્રયત્ન દેશમાં બાળપણથી જ વિદ્યાર્થીઓમાં ઈનોવેશન પ્રત્યે આકર્ષણ પેદા કરવા ઈનોવેશનને ઈન્સ્ટિટ્યુશનલાઈઝ કરવાનો છે. 9 હજાર કરતા વધારે અટલ ટિંકરિંગ લેબ્સ આજે બાળકોને શાળાઓમાં ઈનોવેશન કરવા, નવા આઈડિયા પર કામ કરવાની તક આપી રહી છે.’

Share: