સ્ટાર્ટઅપ મોરચે ભારતનો સોનેરી યુગમાં પ્રવેશ : મોદી

સ્ટાર્ટઅપ મોરચે ભારતનો સોનેરી યુગમાં પ્રવેશ : મોદી


– નવા ભારતનો મંત્રઃ સ્પર્ધા કરો અને વિજયી બનો  

– ભારતની વૃદ્ધિના ચાલકબળ યુવાનો નવા મંત્રની મદદથી વૈશ્વિક સમૃદ્ધિનો નવો અધ્યાય લખી રહ્યા છેઃ વડાપ્રધાન

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે સ્ટાર્ટ અપ મોરચે ભારતનો સોનેરી યુગમાં પ્રવેશ થયો છે. સ્પર્ધા કરો અને વિજયી બનો તે નવા ભારતનોે મંત્ર છે. આ મંત્રની મદદથી ભારતીય યુવાનો વૈશ્વિક સમૃદ્ધિનો નવો અધ્યાય લખી રહ્યા છે. વડાપ્રધાન રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાતા સ્વામી વિવેકાનંદના જન્મદિને આ વાત જણાવી હતી. વર્ચ્યુઅલ મોડમાં ઇવેન્ટને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત યુવાનોની મદદથી સ્ટાર્ટ-અપના સોનેરી યુગમાં પ્રવેશી ચૂક્યું છે. 

આજે જે બધા ડિસરપ્શન આવી રહ્યા છે તે બધા ડેવલપમેન્ટ માટેના છે. ભારતીયો સંશોધન કરી રહ્યા છે અને સહયોગ સાધીને નવાને નવા ઉકેલ લાવીને વૈશ્વિક સમૃદ્ધિનો નવોઅધ્યાય લખી રહ્યા છે. આજે યુનિકોર્નના વિશ્વમાં ભારતની આગેવાની છે. ભારત સ્ટાર્ટઅપના સોનેરી યુગમાં પ્રવેશી ચૂક્યું છે. ન્યુ ઇન્ડિયાનો મંત્ર છે સ્પર્ધા કરો અને વિજેતા બનો. વડાપ્રધાને તેમ કહેતાની સાથે તાજેતરમાં પેરાલિમ્પિક્સમાં ભારતે મેળવેલી સિદ્ધિઓ ગણાવી હતી અને આ ઇવેન્ટ પહેલા આપણે આ પ્રકારની સિદ્ધિઓ ક્યારેય મેળવી ન હતી. 

આ ઉપરાંત વડાપ્રધાને ૧૫થી ૧૮ વર્ષની વયના બે કરોડથી વધુ બાળકોએ રસી લગાવી તે બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણા ૧૫થી ૧૮ વર્ષના બાળકોએ જવાબદારીની અદભુત મિશાલ રજૂ કરી છે. તેમણે ઉમેર્યુ હતુ કે સરકાર દ્વારા મહિલાની લગ્નની વયમર્યાદા પુરુષોની સમકક્ષ ૨૧ વર્ષ કરી દેવામાં આવી તે સમાનતાની દિશામાં લેવાયેલું પગલું છે.

સ્ત્રીપુરુષ સમાન છે. યુવતીઓની લગ્નની વયમર્યાદા વધારવાના લીધે તેમને કારકિર્દી બનાવવામાં તક મળશે અને જીવનમાં વધુ અવકાશ મળશે. આજે વિશ્વ ભારત સમક્ષ આશા અને વિશ્વાસ સાથે જોઈ રહ્યુ છે, કારણ કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. તેના એન્ટરપ્રાઇઝ યુવાન છે. તેમની પાસે સ્વપ્નો, વિચારો છે અને તે જાગૃત થઈ રહ્યા છે.

ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબઝાદા, ભગતસિંહ અને નેતાજી સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતા માટે આપેલા બલિદાનને યાદ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતના પ્રાચીન ઇતિહાસમાં પણ અત્યાધુનિકતા જોવા મળે છે. 

વડાપ્રધાને જણાવ્યું હતું કે યુવાનો ચોક્કસપણે આનંદનો અને સલામતીનો માર્ગ પ્રશસ્ત કરશે. વિશ્વ પણ તે વાત સાથે સંમત છે કે ભારત પાસે આજે બે તાકાત ડેમોગ્રાફી અને ડેમોક્રેસીની છે. ભારતીય યુવાનોમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ હોવાની સાથે ડેમોગ્રાફિક મૂલ્યો પણ છે. ભારત માને છે કે યુવાનો તેની વૃદ્ધિના ચાલકબળ છે. 

ભારત આજે જે કહે છે તેના પર વિશ્વ આવતીકાલે વિચાર કરશે. આજનો યુવાન દેશ માટે જીવી રહ્યો છે અને સ્વતંત્રતા સેનાનીઓએ સેવેલા સ્વપ્નો પૂરા કરી રહ્યો છે. આ યુવાનો જ દેશને શ્રેષ્ઠ બનાવી શકે તેમ છે. 

વડાપ્રધાન મહર્ષિ અરવિંદને ટાંકીને જણાવ્યું હતું કે હિંમતવાન, નિર્મળ અને મહત્ત્વાકાંક્ષી યુવાન જ એકમાત્ર આધાર છે જેના પર ભાવિ રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે. આજે વિશ્વના યુવા રાષ્ટ્ર તરીકે આપણે ચારરસ્તે છીએ. આ ચારરસ્તા નવા સ્વપ્નો અને વિચારોના છે. યુવાનોની તાકાત ભારતને નવી ઊંચાઈએ લઈ જશે. અમારી સરકાર ફક્ત યુવાનોને સ્પેસ પૂરી પાડીને દરમિયાનગીરી લઘુત્તમ કરવા અને તેમના એકમને મદદ આપવા પ્રયત્ન કરી રહી છે. તેની સાથે તેમણે સ્થાનિક વસ્તુઓ માટે વોકલ ફોર લોકલ થવા ભાર મૂક્યો હતો. 

તેમણે આજે તમિલનાડુમાં ૧૧ મેડિકલ કોલેજનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો.

Share: