પીએમની સુરક્ષામાં ચૂકઃ પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ બનાવી

પીએમની સુરક્ષામાં ચૂકઃ પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ બનાવી

નવી દિલ્હી, તા. 12. જાન્યુઆરી 2022 બુધવાર

પીએમ મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકના મામલામાં તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે આજે એક કમિટિ બનાવી છે.જેના અધ્યક્ષ તરીકે પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની નિમણૂંક કરવામાં આવી છે.

કમિટિ તપાસ કરશે કે પીએમ મોદીની સુરક્ષામાં શું ચુક થઈ હતી અને તેના માટે કોણ જવાબદાર છે તથા આવી ઘટના ફરી ના બને તે માટે કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ.

આ કમિટિમાં ઈન્દુ મલ્હોત્રા ઉપરાંત પંજાબ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ તથા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના ડીજી અથવા તો તેમના પ્રતિનિધિને , ચંદીગઢ પોલીસના ડીજી તેમજ પંજાબના એડિશનલ ડીજીપીને સામેલ કરવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટનુ કહેવુ છે કે, આ કમિટિ બહુ જલ્દી પોતાનો રિપોર્ટ સુપરત કરશે.સુપ્રીમ કોર્ટનુ કહેવુ છે કે, પીએમની સુરક્ષામાં થયેલી ચૂક જેવા સંવેદનશીલ મુદ્દાને કેન્દ્ર અથવા રાજ્ય સરકાર પર એક તરફી તપાસ કરવા માટે છોડી શકાય નહીં.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા કહ્યુ હતુ કે, આ એક ઈન્ટેલિજન્સ ફેલ્યોર છે.પીએમ મોદીના રોડ રુટની જાણકારી પંજાબ સરકાર પાસે પહેલેથી હતી.કોઈ શક નથી કે પ્રોટોકોલ પાલનમાં ગરબડી થઈ છે.આ એક મોટી બેદરકારી છે.

જ્યારે પંજાબ સરકારે કહ્યુહ તુ કે, આ મામલામાં જે પણ તપાસ સમિતિ બનાવવી હોય તે કોર્ટે બનાવી શકે છે પણ અમારી સરકાર અને અધિકારીઓ પર આરોપ લગાવવામાં ના આવે.કેન્દ્ર સરકારની તપાસ સમિતિ પર અમને ભરોસો નથી.

Share: