RBIનો મહત્વનો નિર્ણયઃ નીતિગત દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 4 % યથાવત

RBIનો મહત્વનો નિર્ણયઃ નીતિગત દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 4 % યથાવત


– કેન્દ્રીય બેંકે મે 2020માં કોવિડ-19 મહામારીથી પ્રભાવિત અર્થતંત્રનું સમર્થન કરીને પ્રમુખ નીતિગત દરોને ઐતિહાસિક સ્તરે ઘટાડી દીધા હતા

નવી દિલ્હી, તા. 08 ડિસેમ્બર, 2021, બુધવાર

ભારતીય રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમીક્ષા માટે દર 2 મહિને યોજાતી 3 દિવસીય બેઠક આજે સંપન્ન થઈ ગઈ છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગહન વિચાર-વિમર્શ અને કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના પ્રકોપને ધ્યાનમાં રાખીને નીતિગત દરોને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મતલબ કે, દરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. 

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેઠક બાદ જણાવ્યું કે, મૌદ્રિક નીતિ સમિતિ (એમપીસી)એ નીતિગત રેપો રેટને 4% પર રાખવા માટે સર્વસંમતિથી મતદાન કર્યું અને ઉદાર વલણ જળવાઈ રહ્યું. એમએસએફ દર અને બેંક દર 4.5% પર અપરિવર્તિત છે. આ સાથે જ રિવર્સ રેપો રેટ પણ 3.35% પર અપરિવર્તિત રાખવામાં આવ્યો છે. 

સતત 9મી વખત દરો અપરિવર્તિત

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે મોનેટરી પોલિસીની જાહેરાત કરતા જણાવ્યું કે, આ વખતે પણ નીતિગત દરોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. રેપો રેટ 4 ટકા પર યથાવત છે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે સતત 9મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. અગાઉ કેન્દ્રીય બેંકે છેલ્લે 22 મે, 2020ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો. 

મે 2020માં ઐતિહાસિક સ્તરે ઘટાડો કરેલો

રેપો રેટ જેના પર આરબીઆઈ બેંકોને ટૂંકા ગાળા માટે ધન ઉધાર આપે છે તે 4 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. તે સિવાય રિવર્સ રેપો રેટ જેના પર આરબીઆઈ બેંકો પાસેથી ઉધાર લે છે તે 3.35 ટકા યથાવત રખાયો છે. સીમાંત સ્થાયી સુવિધા અને બેંક દર પણ 4.25 ટકા યથાવત રખાયા છે. કેન્દ્રીય બેંકે મે 2020માં કોવિડ-19 મહામારીથી પ્રભાવિત અર્થતંત્રનું સમર્થન કરીને પ્રમુખ નીતિગત દરોને ઐતિહાસિક સ્તરે ઘટાડી દીધા હતા. ત્યારથી આરબીઆઈ દ્વારા દરો યથાવત રાખવામાં આવ્યા છે. 

Share: