કોંગ્રેસે 7 વર્ષમાં 600 કરોડ ખર્ચ કર્યા, અમે 12 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવડાવ્યાઃ PM મોદી

કોંગ્રેસે 7 વર્ષમાં 600 કરોડ ખર્ચ કર્યા, અમે 12 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવડાવ્યાઃ PM મોદી


– આજે જે સરકાર છે તે વિશ્વના કોઈ પણ દેશના દબાણમાં ન આવી શકેઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, તા. 4 ડિસેમ્બર, 2021, શનિવાર

વડાપ્રધાન મોદીએ આજે દિલ્હીથી દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. આ કોરિડોરના કારણે દિલ્હીથી દેહરાદૂન વચ્ચેનું અંતર 6 કલાકના બદલે માત્ર 2.5 કલાકમાં કાપી શકાશે. તેનાથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ ઉપરાંત તે રૂટ પરથી ચાલનારા તમામ મુસાફરોને ફાયદો થશે. 

વડાપ્રધાન મોદી ઉત્તરાખંડની ચૂંટણી પહેલા આજે દેવભૂમિ ઉત્તરાખંડ પહોંચ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે, કેન્દ્રની સરકારે 5 વર્ષમાં ઉત્તરાખંડ માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાઓ સ્વીકૃત કરી છે. જે લોકો એવું પુછતા હતા કે, ઉત્તરાખંડમાં ડબલ એન્જિનની સરકાર શું કરી રહી છે તે આજે જોઈ શકે છે કે, ડબલ એન્જિનની સરકારમાં ઉત્તરાખંડની તસવીર કઈ રીતે બદલાઈ રહી છે. 

તે સિવાય વડાપ્રધાને વિપક્ષ પર નિશાન તાકતા કહ્યું કે, વન રેન્ક, વન પેન્શન હોય, આધુનિક અસ્ત્ર-શસ્ત્ર હોય, આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાનું હોય તેમણે દરેક સ્તરે સેનાને હતોત્સાહિત કરવાની કસમ ખાઈ રાખી હતી. આજે જે સરકાર છે તે વિશ્વના કોઈ પણ દેશના દબાણમાં ન આવી શકે. અમે રાષ્ટ્ર પ્રથમ, સદૈવ પ્રથમના મંત્ર પર ચાલનારા લોકો છીએ. 

વડાપ્રધાને જણાવ્યું કે, 2007થી 2014ના વર્ષ દરમિયાન કેન્દ્રની જે સરકાર હતી તેણે 7 વર્ષમાં ઉત્તરાખંડમાં માત્ર 288 કિમી નેશનલ હાઈવે બનાવ્યા. જ્યારે અમારી સરકારે 7 વર્ષમાં ઉત્તરાખંડમાં 2 હજાર કિમી કરતા વધારે લંબાઈના નેશનલ હાઈવેનું નિર્માણ કર્યું છે. આપણા પહાડો, આપણી સંસ્કૃતિ અને આસ્થાના ગઢ છે અને તે આપણા દેશની સુરક્ષાના પણ કિલ્લા છે. પહાડોમાં રહેનારાઓનું જીવન સુગમ બનાવવું તે દેશની સર્વોચ્ય પ્રાથમિકતાઓમાંથી એક છે. 

વડાપ્રધાને ઉત્તરાખંડને 18 હજાર કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી હતી. દિલ્હીથી દેહરાદૂન સુધીની ઈકોનોમિક કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે જ પોતાના ભાષણના અંતમાં તેમણે ‘મેં તુમકો શિશ નવાતા હું’ કવિતા દ્વારા લોકોમાં જોશનું સિંચન કર્યું હતું.  

Share: