રાંચીમાં મેચ જોવા પહોંચ્યા કોંગ્રેસી નેતા શશિ થરૂર, આગામી મેચમાં કેપ્ટન બદલવાની માગણી!

રાંચીમાં મેચ જોવા પહોંચ્યા કોંગ્રેસી નેતા શશિ થરૂર, આગામી મેચમાં કેપ્ટન બદલવાની માગણી!


– શ્રેયસ અય્યરના નેતૃત્વમાં બેંચને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળવી જોઈએઃ થરૂર

નવી દિલ્હી, તા. 20 નવેમ્બર, 2021, શનિવાર

ટી-20 સીરિઝના બીજા મુકાબલા દરમિયાન ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી માત આપી હતી. આ વિજય સાથે જ ભારતે 2-0ની અજેય બઢત હાંસલ કરી છે. ત્યારે હવે શુક્રવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારા મુકાબલાને જીતીને રોહિત બ્રિગેડ ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. રાંચી ખાતે શુક્રવારે રમાયેલા મુકાબલામાં ભારતીય ચાહકોનો જોશ જોવાલાયક હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર પણ મેચનો આનંદ માણવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. 

ભારતના વિજય બાદ શશિ થરૂર ખૂબ જ પ્રસન્ન જોવા મળ્યા હતા અને તેમણે આગામી મુકાબલાને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું. શશિ થરૂરના મતે ત્રીજા ટી20 મુકાબલામાં સીનિયર ખેલાડીઓને આરામ આપીને શ્રેયસ અય્યરે કપ્તાની કરવી જોઈએ. 

થરૂરે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ભારતને ટી20 સીરિઝમાં જીત મેળવતું જોઈને સારૂ લાગ્યું. આગામી મેચ માટે આપણે એ લોકોને આરામ આપવો જોઈએ જેમણે પોતાનું પ્રદર્શન આપ્યું છે. રોહિત શર્મા, કેએલ રાહુલ, ઋષભ પંત, ભુવનેશ્વર કુમાર અને દીપક ચાહરને રેસ્ટ મળે. શ્રેયસ અય્યરના નેતૃત્વમાં બેંચને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળવી જોઈએ.’ 

65 વર્ષીય શશિ થરૂર એવા કોંગ્રેસી નેતાઓમાં સામેલ છે જે ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. જોકે અનેક પ્રસંગોએ તેમના નિવેદનના કારણે કોંગ્રેસ પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે. 

Share: