×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજથી વિક્રમ સંવત 2078, જાણો કોણ હતા રાજા વિક્રમ અને કેવી રીતે જોડાયું નવા વર્ષ સાથે તેમનું નામ


(ઉજ્જૈન સ્થિત રાજા વિક્રમાદિત્યની મૂર્તિ)

- વિક્રમાદિત્યનો અર્થ "સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાય

સાલમુબારક

આજથી વિક્રમ સંવતનું એક નવું વર્ષ, 2078નું વર્ષ,  શરૂ થાય છે. પણ જેનું નામ આ સંવત સાથે જોડાયું છે તે વિક્રમ હતો કોણ હશે ? તે વિશે પૂરેપૂરી ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. 

પણ લોકકથાઓ, દંતકથાઓ અને લોકમાનસ મુજબ આ ઉજેણી નગરીનો રાજા વીરવિક્રમ આજ સુધી વસી ગયો છે. એના નામ સાથે જોડાયેલો છે આ સંવત. 

આજે દુનિયાના ઘણા દેશોમાં, આપણા દેશમાં પણ,જેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે તે ઇસવી સન કરતાં 56 કે 57 વર્ષ પહેલાં આ સંવત શરૂ થયો છે.

એટલે વિક્રમ રાજા ઈસ્વીસનના પૂર્વે સોએક વર્ષે થઇ ગયો હોવો જોઈએ. કેટલાકને મતે તે પોતે શકો સામે વિજય થયો તેની યાદમાં વિક્રમે આ નવો સંવત શરૂ કર્યો હતો. 

એનું આખું નામ વિક્રમાદિત્ય. ‘વિક્રમ’ એટલે પરાક્રમ, અને ‘આદિત્ય’ એટલે અદિતીનો એક પુત્ર, સૂર્ય. પણ ‘વિક્રમાદિત્ય’ એ રાજાનું નામ હતું કે બિરુદ? કારણ કે બીજા પણ ઘણા રાજાઓએ આ ‘વિક્રમાદિત્ય’ને બિરુદ તરીકે અપનાવ્યું છે. 

વિક્રમાદિત્યનો અર્થ "સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાય. તે 'વિક્રમ' અને 'વિક્રમાર્ક' તરિકે પણ ઓળખાતો (સંસ્કૃતમાં આર્ક એટલે સૂર્ય).

ભાટચારણો તો પાંચ ગામના ઠાકોરને પણ ‘પરાક્રમી વીર વિક્રમ જેવો’ એમ કહીને પ્રશંસા કરતા. આજે જેમ આલિયામાલિયા ચળવળિયાને ‘ગાંધીવાદી’ની ટોપી પહેરાવી દેવાય છે,તેમ એક જમાનામાં થોડી ઘણી પણ સત્તા જેની પાસે હોય તેને માથે ‘વિક્રમાદિત્ય’નો મુગટ પહેરાવી દેવાતો.

ખેર, કથાસરિતસાગરની વાત માનીએ તો પરમાર વંશના ઉજ્જૈનના રાજા મહેન્દ્રાદિત્યનો પુત્ર હતો આ વિક્રમાદિત્ય. 

એટલે બનવાજોગ છે કે આ વંશના બધા રાજાના નામની સાથે ‘આદિત્ય’ બિરુદ જોડાતું હોય. તો ભવિષ્ય પુરાણ કહે છે કે વિક્રમાદિત્ય તો ગાંધર્વસેનનો પુત્ર હતો. અને ગાંધર્વસેન તે ઇન્દ્રનો પુત્ર હતો. પાંચ વર્ષની ઉંમરથી વિક્રમે બાર વર્ષનું આકરું તપ કર્યું હતું. તંત્રમંત્રના જાણકાર એક દુષ્ટનો ખાતમો બોલાવવામાં વૈતાળે તેને મદદ કરી હતી. રંભા અને ઉર્વશી એ બે અપ્સરાઓ વચ્ચેના ઝગડાનો નિવેડો વિક્રમ લાવી શક્યો હતો,

તેથી તેના પર ખુશ થઈને ઇન્દ્રે તેને સિંહાસન આપ્યું અને “તું તથા તારા વંશજો એક હજાર વર્ષ સુધી રાજ કરશો”-એવું વરદાન આપ્યું. 

તો વળી, કેટલાક જૈન ગ્રંથો કહે છે કે વિક્રમાદિત્ય ઉજજૈનનો નહિ, પણ મહારાષ્ટ્રમાં આવેલા ‘પ્રતિષ્ઠાન’ (આજનું પૈઠણ)નો રાજા હતો. તેણે ચડાઈ કરીને ઉજ્જૈન જીતી લીધું હતું અને પોતાના એ વિજયના માનમાં ‘વિક્રમ સંવત’ શરૂ કર્યો હતો. વેતાળપચ્ચીસી અને સિંહાસન બત્રીસીની અદ્ભુતરસિક વાર્તાઓ અનેક ભાષામાં પ્રચલિત થઈ છે.

તેમાં લોકો સામે વિક્રમ એક સર્વશક્તિમાન, પ્રજાવત્સલ રાજાના આદર્શ તરીકે રજૂ થયો છે. કર્ણાટકની યક્ષગાન પરંપરામાં રાજા વિક્રમ અને નવગ્રહોમાંના એક શનિની કથા જોવા મળે છે. માણસના જીવનમાં શનિ ઉથલપાથલ સર્જી શકે છે;એ વાત માનવા રાજા વિક્રમ તૈયાર નથી. 

પણ તેણે કરેલા શનિના અપમાનને પરિણામે વિક્રમના જીવનમાં આફતોની પરંપરા સર્જાય છે. જ્યારે તેને લાગે છે કે હવે તો મોત હાથવેંતમાં છે ત્યારે છેવટે તે શનિની પ્રાર્થના કરે છે અને શનિ પ્રસન્ન થઈ તેને વરદાન આપે છે.

ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં ચૈત્ર મહિનાથી વિક્રમ સંવત શરૂ થાય છે. જ્યારે ગુજરાતમાં કાર્તિક મહિનાથી નવું વર્ષ શરૂ થાય છે. આ ઉપરાંત નેપાળમાં પણ વિક્રમ સંવત પ્રચલિત છે.

ત્યાં વૈશાખ મહિનામાં તેની શરૂઆત થાય છે. ભારત સરકારે શક સંવતને સત્તાવાર કેલેન્ડર તરીકેની માન્યતા આપી છે. પણ લોકોમાં આ કેલેન્ડર ઝાઝું પ્રચલિત બન્યું નથી. સરકારી વ્યવહારમાં પણ તેનો ઉપયોગ ઇસવી સનની સાથોસાથ થાય છે. પણ આપણા દેશના બંધારણના સત્તાવાર હિન્દી અનુવાદમાં એ બંધારણ દેશે અપનાવ્યું તેની તારીખ આ રીતે આપી છે: ‘૨૬ નવેમ્બર, 1949, માર્ગશીર્ષ શુક્લ સપ્તમી, સંવત 2006.’ 

આ વર્ષગણના વિક્રમ સંવત પ્રમાણેની છે. આનું કારણ એ કે શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે તો 1957ના માર્ચની બાવીસમી તારીખે સ્વીકારવામાં આવ્યું છે.

એટલે ઇસવી સનની સાથે ભારતીય પરંપરાના વર્ષ તરીકે 1949માં વિક્રમ સંવતનો ઉપયોગ થયો હતો. આવા વિક્રમ સંવતનાં આજથી શરુ થતાં નવા વર્ષના આપ સૌને અભિનંદન.