×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બીજા દેશો ભારત પાસેથી શીખે, ભારતના કોરોના રસીકરણ અભિયાન પર બિલ ગેટસ ફીદા થઈ ગયા

નવી દિલ્હી,તા.22 ઓક્ટોબર 2021,શુક્રવાર

કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝ લોકોને આપીને ભારતે ઈતિહાસ સર્જયો છે ત્યારે દુનિયાના સૌથી ધનિક લોકોમાં સ્થાન પામતા અને માઈક્રોસોફટના સ્થાપક બિલ ગેટસ પણ ભારતની સિધ્ધિ જોઈને દંગ થઈ ગયા છે.

બિલ ગેટસે એક અંગ્રેજી અખબારમાં ભારતની સફળતાના ભરપૂર વખાણ કરતા કહ્યુ છે કે, દુનિયાના બાકી દેશોએ પણ ભારતના અનુભવમાંથી સીખવાની જરૂર છે. 31.ડિસેમ્બર સુધીમાં ભારતના તમામ પુખ્ત વયના વ્યક્તિઓને વેક્સીનેટ કરવાના પીએમ મોદીના વિઝનને ભારતમાં દરેક રાજ્યમાં શાનદાર પ્રતિક્રિયા મળી છે. આ દુનિયાનુ સૌથી મોટુ અને સૌથી ઝડપી રસીકરણ અભિયાન છે. ભારતની 75 ટકા પુખ્ત વયની વસતીને પહેલો ડોઝ અને 31 ટકાને બે ડોઝ મળ્યા છે. જેમાં 48 ટકા મહિલાઓ છે. ભારતની વસતી અને તેનુ કદ જોતા આ સિધ્ધિ વધારે મહત્વની બને છે. દુનિયાના બાકી દેશો ભારતમાંથી શીખી શકે છે.

તેમણે આગળ લખ્યુ છે કે, ભારતે મોટા પાયે સંખ્યાબંધ રસીકરણ અભિયાનોને અગાઉ પાર પાડી ચુકયુ છે અને તેનો લાભ પણ તેને મળ્યો છે. ભારત દર વર્ષે 2.7 કરોડ નવજાત બાળકોને જરૂરી રસી આપે છે. દર વર્ષે એક થી પાંચ વર્ષના દસ કરોડ બાળકોને બૂસ્ટર ડોઝ આપે છે. ભારત પાસે 27000 કોલ્ડ ચેનની સુવિધા છે. 23 લાખ કાર્યકરોની વિશાળ સેના છે. જેમણે લાખો ડોકટરો અને નર્સો પાસેથી તાલીમ લીધેલી છે. ભારતને તેના આગળના અનુભવ અને રસીકરણના માળખાનો ફાયદો મળી રહ્યો છે.

બિલ ગેટસે કહ્યુ હતુ કે, વેક્સીન બનાવવામાં પણ ભારતની આવડત તેને કામ લાગી છે. ભારતીય વેક્સીનોએ આ પહેલા દુનિયાભરમાં ન્યૂમોનિયા અને્ ડાયેરિયા જેવી બીમારીઓથી લાખો લોકોને બચાવ્યા છે. મને ગર્વ છે કે, મારા ફાઉન્ડેશને પણ વેક્સીનને લોકો સુધી પહોંચાડવા માટે ભારત સરકાર સાથે મળીને કામગીરી કરી છે.

તેમણે કોવિન પ્લેટફોર્મના પણ વખાણ કરીને કહ્યુ છે કે, ભારતે પોતાની આઈટીની ક્ષમતાને પણ સારી રીતે રસીકરણ માટે ઉપયોગમાં લીધી છે. કોવિનના કારણે ભારતમાં વેક્સીન માટે એપોઈન્ટમેન્ટ સ્લોટ ગોઠવાય છે અને તેના પરથી સર્ટિફિકેટ પણ મળી રહ્યુ છે. જેને ક્યારે પણ વેરિફાઈ કરી શકાય છે. વેક્સીન ટ્રેન્ડની પણ જાણકારી મળી રહી છે. આ પ્રકારનુ પ્લેટફોર્મ દુનિયાના બાકી દેશોએ પોતાને ત્યાં લાગુ કરવુ જોઈએ. સાથે સાથે લોકોની ભાગીદારી પણ ભારતના રસીકરણ કાર્યક્રમની સફળતામાં મોટો ભાગ ભજવી ચુકી છે.