આર્યન ખાનની જામીન અરજી પર 13 ઓક્ટોબરના રોજ થશે સુનાવણી, NCBએ જવાબ આપવા માટે માગ્યો સમય

આર્યન ખાનની જામીન અરજી પર 13 ઓક્ટોબરના રોજ થશે સુનાવણી, NCBએ જવાબ આપવા માટે માગ્યો સમય


– આર્યન ખાનની જામીન અરજી એ આધાર પર દાખલ કરવામાં આવી છે કે, તેના પાસેથી કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ નહોતું મળી આવ્યું અને આરોપીઓ સાથે તેની કોઈ જ મિલિભગત નહોતી

નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર, 2021, સોમવાર

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને 13 ઓક્ટોબર એટલે કે, બુધવાર સુધી આર્થર રોડ જેલમાં જ્યુડિશીયલ કસ્ટડીમાં રહેવું પડશે. બુધવારે બપોરે 2:45 કલાકે આ કેસની આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. શુક્રવારે જામીન અરજી રદ થઈ ત્યાર બાદ આર્યન ખાન તરફથી એક નવી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે હવે આ કેસની સુનાવણી 13 ઓક્ટોબરના રોજ વિશેષ એનડીપીએસ કોર્ટમાં થશે. એનસીબીએ પણ જવાબ આપવા માટે સમયની માગણી કરી છે. 

આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ જણાવ્યું કે, આ ખૂબ જ સ્વાભાવિક છે કે, કોર્ટ જામીન અરજી નકારી દે. આના વિરૂદ્ધ અમે હાઈ કોર્ટમાં જઈશું. અમે મુંબઈની વિશેષ એનડીપીએસ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. 

આર્યન ખાનની જામીન અરજી એ આધાર પર દાખલ કરવામાં આવી છે કે, તેના પાસેથી કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ નહોતું મળી આવ્યું અને આરોપીઓ સાથે તેની કોઈ જ મિલિભગત નહોતી. સાથે જ એ વાતનો પણ કોઈ પુરાવો નથી મળ્યો કે આર્યન ખાને ડ્રગ્સનું સેવન કર્યું હતું. 

શુક્રવારે મેજિસ્ટ્રેટે એ આધાર પર જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો કે, એસ્પ્લેનેડ કોર્ટ પાસે તેની અરજી સાંભળવાનો કોઈ જ અધિકાર નથી. આ કેસમાં એવો આરોપી પણ સામેલ છે જેને 3 વર્ષ કરતા વધારે સમય માટેની જેલની સજા થઈ શકે છે માટે આ કેસ વિશેષ એનડીપીએસ દ્વારા વિચારણીય બની જાય છે માટે આ પ્રકારની જામીન અરજી પર વિચાર કરવો યોગ્ય રહેશે. 

Share: