CM હિમંતા બિસ્વાઃ 'મુસ્લિમોને યાદ અપાવું છું કે, તેમના પૂર્વજો બીફ નહોતા ખાતા, તો શું ખોટું છે'

CM હિમંતા બિસ્વાઃ 'મુસ્લિમોને યાદ અપાવું છું કે, તેમના પૂર્વજો બીફ નહોતા ખાતા, તો શું ખોટું છે'


– જે જમીન પર કબજો થયો હતો તે 77 હજાર એકર જેટલી છે અને આ જમીન માત્ર 1 હજાર પરિવારને ન આપી શકાય

નવી દિલ્હી, તા. 09 ઓક્ટોબર, 2021, શનિવાર

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્ય સાથે સંકળાયેલા અનેક જ્વલંત મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. તાજેતરમાં ગેરકાયદેસર દબાણ હટાવવા દરમિયાન થયેલી હિંસા મુદ્દે સરમાએ આ મામલે ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સાથે જ ઉમેર્યું હતું કે, જે જમીન પર કબજો થયો હતો તે 77 હજાર એકર જેટલી છે અને આ જમીન માત્ર 1 હજાર પરિવારને ન આપી શકાય.

રાજ્યમાં બીફ પરના પ્રતિબંધ મુદ્દે સરમાએ જણાવ્યું કે, આસામના મોટા ભાગના મુસ્લિમ કન્વર્ટેડ છે. તેમના પૂર્વજો બીફ નહોતા ખાતા. જો તેઓ (સરમા) તેમને એ વાત યાદ કરાવી રહ્યા છે કે, તમારા પૂર્વજો બીફ નહોતા ખાતા, તમે કમસે કમ તેના ઉપયોગને પ્રોત્સાહન ન આપશો તો તેમાં ખોટું શું છે. 

મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું કે, દબાણ દૂર કરવા દરમિયાન જે લોકોને હટાવવામાં આવ્યા તે પૈકીના મોટા ભાગનાઓની નાગરિકતા સંદિગ્ધ હતી. જોકે તેમને તેમની શંકાસ્પદ નાગરિકતાના કારણે નહીં પણ 77 હજાર એકર જમીન પર માત્ર 1 હજાર પરિવારનો કબજો હતો માટે તેમને હટાવવામાં આવ્યા. આસામમાં નિયમ છે કે, એક પરિવાર 2 એકર જમીન જ રાખી શકે. તે જોતાં આ પરિવારો 2 હજાર એકર જમીન રાખી શકે તો બાકીની 75 હજાર એકર જમીનનું શું થશે? 

જ્યારે મુખ્યમંત્રી સરમાને એવું કહેવામાં આવ્યું કે, તે તેમની જવાબદારી નથી કે તેઓ લોકોને શું ખાવું અને શું ન ખાવું તેના વિશે કહે. ત્યારે તેના જવાબમાં સરમાએ કહ્યું કે, ‘આ દેશમાં આ જ વાંધો છે, જ્યારે લોકોને તેમની પરંપરા યાદ કરાવવામાં આવે છે ત્યારે તેઓ નારાજ થઈ જાય છે. તમે ફક્ત અધિકારોની વાત કરો છો. અધિકારો આપણી સભ્યતાના મૂલ્યોમાંથી નીકળે છે. તેને સ્વતંત્ર નજરથી ન જોઈ શકાય.’

Share: