ફ્રાંસીસી સેનાએ ઈસ્લામિક સ્ટેટના પ્રમુખને ઠાર માર્યો, રાષ્ટ્રપતિ મૈક્રોંએ આપી જાણકારી

ફ્રાંસીસી સેનાએ ઈસ્લામિક સ્ટેટના પ્રમુખને ઠાર માર્યો, રાષ્ટ્રપતિ મૈક્રોંએ આપી જાણકારી


– અબૂ વાલિદ અને તેના અનુયાયીઓ અલ-કાયદના જૂથમાંથી અલગ થયા ત્યારે આ સંગઠન ઉભરી આવ્યું હતું અને અબૂ વાલિદ પર 5 મિલિયન ડોલરનો પુરસ્કાર હતો

નવી દિલ્હી, તા. 16 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

ફ્રાંસીસી સેનાએ ગ્રેટ સહારા ખાતે આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટના નેતા અદનાન અબૂ વાલિદ અલ-સાહરાવીને ઠાર માર્યો છે. રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. 

તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ગ્રેટર સહારા ખાતે ઈસ્લામિક સ્ટેટના પ્રમુખને ફ્રાંસીસી સેના દ્વારા નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો. વધુમાં લખ્યું હતું કે, સાહેલ ખાતે આતંકવાદી જૂથો સામેની અમારી લડાઈમાં આ એક વધુ મોટી સફળતા છે. 

5 મિલિયન ડોલરનો પુરસ્કાર

અદનાન અબૂ વાલિદ અલ-સાહરાવી નામનો આતંકવાદી સંગઠન ગ્રેટર સહારામાં આઈએસઆઈએસનો નેતા હતો. તે આઈએસઆઈએસ જીએસના નામે પણ ઓળખાય છે. અબૂ વાલિદ અને તેના અનુયાયીઓ અલ-કાયદના જૂથમાંથી અલગ થયા ત્યારે આ સંગઠન ઉભરી આવ્યું હતું. અબૂ વાલિદ પર 5 મિલિયન ડોલરનો પુરસ્કાર હતો. 

અબૂ વાલિદને પહેલી વખત મે 2015માં પોતાના સમૂહની આઈએસઆઈએસની કમાન મળી હતી અને આઈએસઆઈએસ જીએસ દ્વારા અબૂ વાલિદના નેતૃત્વમાં અનેક હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. આ હુમલામાં 4 ઓક્ટોબર, 2017ના રોજ માલિયાન સીમા પાસે ટોંગો, નાઈઝરના ક્ષેત્રોમાં એક સંયુક્ત અમેરિકી-નાઈઝીરિયન પેટ્રોલિંગ દળ પર હુમલાનો પણ સમાવેશ થાય છે. તેના પરિણામ સ્વરૂપ 4 અમેરિકી સૈનિકો અને 4 નાઈઝીરિયન સૈનિકોના મોત થયા હતા. 

અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે અબૂ વાલિદને ખાસ રીતે વૈશ્વિક આતંકવાદી ઘોષિત કર્યો છે તથા ઈમિગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમની કલમ 219 અંતર્ગત આઈએસઆઈએસ જીએસને આતંકવાદી સંગઠન ઘોષિત કરવામાં આવ્યું છે. 

Share: