ચૂંટણી જાહેરાતઃ ટૂંક સમયમાં જ અન્નદાતાને નવી ભેટ આપી શકે છે PM, ખેડૂત સંગઠનો આગળ નહીં ઝુકે સરકાર

ચૂંટણી જાહેરાતઃ ટૂંક સમયમાં જ અન્નદાતાને નવી ભેટ આપી શકે છે PM, ખેડૂત સંગઠનો આગળ નહીં ઝુકે સરકાર


– સરકાર ખેડૂતોની આવક વધારવા, તેમના ખર્ચા ઘટાડવા માટેના અન્ય સ્ત્રોતો પર કામ કરી રહી છે

નવી દિલ્હી, તા. 04 સપ્ટેમ્બર, 2021, શનિવાર

ખેડૂતો સાથેની વાતચીતમાં સામેલ રહેલા એક કેન્દ્રીય મંત્રી સાથે ખેડૂતોની સમસ્યા અંગે જે વાત થઈ તેનો અંશ સમજીએ. મંત્રીજીના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકાર ખેડૂત સંગઠનોના અડિયલ વલણને જોઈને તેમના સાથે વાતચીત માટે પહેલ નહીં કરે. વડાપ્રધાનને દેશના ખેડૂતોની ચિંતા છે અને તેમના માટે અમે જે શક્ય હોય તે બધું જ કરીશું. 

જાણવા મળ્યા મુજબ ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લઈ શકે છે. આ માટે જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે. કૃષિ મંત્રાલય આ માટે કામ કરી રહ્યું છે જોકે આ અંગે હાલ વધુ કોઈ ખુલાસો નહીં કરવામાં આવે. 

કૃષિ મંત્રાલયના અનેક અધિકારીઓનો સંપર્ક કરવા પર જાણવા મળ્યું કે, સરકાર ખેડૂતોની આવક વધારવા, તેમના ખર્ચા ઘટાડવા માટેના અન્ય સ્ત્રોતો પર કામ કરી રહી છે. તેમાં સૌથી પ્રમુખ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ છે. અત્યાર સુધીમાં 12.4 કરોડ ખેડૂતો તેના સાથે જોડાઈ ચુક્યા છે. તેનો 9મો હપ્તો પહોંચી ગયો છે અને મંત્રાલયના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે 10 કરોડ કરતા વધારે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના હિસાબથી રકમ પહોંચી છે. સરકાર તેના અવકાશ અને રાશિની સીમા વધારવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. 

આ કોઈ સત્તાવાર નિવેદન નથી પરંતુ કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીનું નિવેદન છે કે, ખેડૂત સંગઠનોને તેમનું કામ કરવા દેવામાં આવે. લોકશાહીમાં બધાને પોતાની વાત રાખવાનો અધિકાર છે. અમારૂ ધ્યાન કૃષિ ક્ષેત્રમાં સુધારા અને ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ પર છે. સરકાર તે માટે સંવેદનશીલ છે. 

Share: