મસૂદ અઝહર તાલિબાનનાં નેતા બરાદરને કંધારમાં મળ્યો, જાણો શું ચર્ચા થઇ

મસૂદ અઝહર તાલિબાનનાં નેતા બરાદરને કંધારમાં મળ્યો, જાણો શું ચર્ચા થઇ

કંધાર, 27 ઓગસ્ટ 2021 શુક્રવાર

પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતા મૌલાના મસૂદ અઝહરે અફઘાનિસ્તાનના કંધાર જઇને તાલિબાન નેતૃત્વ સાથે મુલાકાત કરી છે. ભારતમાં અનેક આતંકવાદી હુમલા માટે જવાબદાર મસૂદે કાશ્મીરમાં પોતાની નાપાક ઇરાદાઓને અંજામ આપવા માટે તાલિબાનની મદદ માંગી છે. સૂત્રોએ આ માહિતી આપી છે.  

ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને કહ્યું છે કે મસૂદ અઝહર તાલિબાનની પોલિટિકલ વિંગનાં વડા મૌલાના અબ્દુલ ગની બરાદાર સાથે મુલાકાત કરી છે. મસૂદ અઝહરે કાશ્મીર ખીણમાં જૈશ-એ-મોહમ્મદની પ્રવૃત્તિઓ ચલાવવા માટે તાલિબાનની મદદ માંગી છે. તાજેતરમાં મસૂદ અઝહરે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અંગે ખુશી વ્યક્ત કરી હતી. 16 ઓગસ્ટના રોજ ‘મંઝિલ કી તરાર’ નામનાં શિર્ષકથી એક નોંધમાં મસૂદે અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનની સફળતાની પ્રશંસા કરી હતી.

પાકિસ્તાનના બહાવલપુર સ્થિત જૈશના હેડક્વાર્ટરમાં જૈશ આતંકવાદીઓ વચ્ચે આ સંદેશ સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો. જૈશે અફઘાનિસ્તાનમાં જીત માટે તાલિબાનને અભિનંદન આપ્યા હતા. તાલિબાન અને જૈશ-એ-મોહમ્મદ શરિયા કાયદા અંગે સમાન વિચારધારા ધરાવે છે. 1999 માં જેલમાંથી બહાર આવ્યા બાદ જૈશની સ્થાપના કરનાર મસૂદ અઝહર ભારતમાં ઘણા આતંકવાદી હુમલા કરાવી ચુક્યો છે.

Share: