તાલિબાનની મજબુરી: પંજશીરમાં અહેમદ મસુદ સાથે વર્તમાન સ્થિતી અંગે ચર્ચા કરી

તાલિબાનની મજબુરી: પંજશીરમાં અહેમદ મસુદ સાથે વર્તમાન સ્થિતી અંગે ચર્ચા કરી

નવી દિલ્હી, 24 ઓગસ્ટ 2021 મંગળવાર

અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ તાલિબાન એક તરફ સરકાર રચવાની કવાયતમાં લાગ્યું છે અને બીજી તરફ તેનાં કેટલાક નેતાઓ અન્ય ઘણા વિરોધી જૂથો સાથે વાતચીતમાં વ્યસ્ત છે. પંજશીરમાં ઇસ્લામિક અમીરાત અને રેસિસ્ટેંસ ફ્રંટની વચ્ચે સીધી વાતચીત શરૂ થઇ ગઇ છે.

રેઝિસ્ટેંસ ફ્રન્ટ અને ઇસ્લામિક અમીરાતના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે કે અહમદ મસૂદ સાથે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અને ભાવિ સરકારની ચર્ચા કરવા તાલિબાનનું પ્રતિનિધિમંડળ મંગળવારે પંજશીરની મુલાકાતે ગયું છે.

આ પહેલા, અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે મંગળવારે પંજશીરની પરિસ્થિતિ પર મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તાલિબાન જે દાવો કરી રહ્યું છે કે તેઓએ પંજશિરનો અમુક હિસ્સો કબજે કરી લીધો છે તે એકદમ ખોટું છે. સંપૂર્ણ પરિસ્થિતી અમારા નિયંત્રણમાં છીએ. પંજશીરના લોકોનો ઉત્સાહ હાઈ લેવલે છે.

કાર્યવાહક રાષ્ટ્રપતિ સાલેહે કહ્યું કે,પંજશીરના લોકો તાલિબાન સામે નમવા તૈયાર નથી. અમે કોઈ પણ પ્રકારની વાતચીત માટે તૈયાર છીએ. અમે અમારા વિસ્તારમાં શાંતિ ઈચ્છીએ છીએ. પરંતુ જો તાલિબાન લડાઈ ઈચ્છે છે, તો અમે લડવા પણ તૈયાર છીએ.

કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે એમ પણ કહ્યું કે અહમદ મસૂદ હાલમાં તેમના પિતાની જેમ તાલિબાન સામે લડી રહ્યો છે, દરેક વ્યક્તિ તેમની સાથે ઉભો છે. હું પણ અહીં હાજર છું, દરેક અહીં એકજુથ છે. અમે બધું તાલિબાન પર છોડી દીધું છે, જો તેઓ યુદ્ધ ઇચ્છે તો યુદ્ધ થશે અને જો તેઓ મંત્રણા કરવા માંગતા હોય તો શાંતિ સાથે વાતચીત થશે. 

તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે અમારા લોકોને મુક્તપણે જીવવાની તક મળે, અમે નથી ઇચ્છતા કે અફઘાનિસ્તાન તાલિબાન બને. અમે ઇચ્છીએ છીએ કે અફઘાનિસ્તાનનાં લોકોને તેમના મનની વાત કરવાની તક મળે, આ બધું સરમુખત્યારશાહીમાં ન થઇ શકે.

Share: