તેજ પ્રતાપ યાદવનો મોટો આરોપ- મારા જીવને જોખમ, રચાઈ રહ્યું છે હત્યાનું ષડયંત્ર

તેજ પ્રતાપ યાદવનો મોટો આરોપ- મારા જીવને જોખમ, રચાઈ રહ્યું છે હત્યાનું ષડયંત્ર


– તેજ પ્રતાપના કહેવા પ્રમાણે તે તેજસ્વી યાદવને બિહારનો મુખ્યમંત્રી બનવાશે. તેઓ તેની ભૂલો માફ કરે છે અને તેના માટે યજ્ઞ પણ કરશે.

નવી દિલ્હી, તા. 22 ઓગષ્ટ, 2021, રવિવાર

રાજદ અને લાલુ પરિવારમાં મચેલા ઘમસાણ વચ્ચે લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે બહુ મોટો આરોપ લગાવ્યો છે. તેજ પ્રતાપે એક વ્યક્તિનું નામ લઈને તે પોતાની હત્યા કરવા માંગે છે તેવો દાવો કર્યો છે. તેજ પ્રતાપને આજે દિલ્હી જવાનું હતું પરંતુ તેમના ત્રણેય બોડીગાર્ડે ફોન કરીને સાથે આવવાની ના પાડી દીધી હતી અને ત્રણેયના ફોન બંધ આવી રહ્યા છે. તેજ પ્રતાપના કહેવા પ્રમાણે જો હવે રસ્તામાં કશું બનશે તો તેની જવાબદારી કોણ લેશે. તેજ પ્રતાપે આઈજી સુરક્ષા સમક્ષ પોતાના ત્રણેય બોડીગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગણી કરી છે. 

પિતાજીને મળવું હતું, બહેનો પાસે રાખડી બંધાવવી હતી

તેજ પ્રતાપે આરોપ લગાવ્યો કે, તેમને દિલ્હી જવું હતું. પિતાજીને મળીને સ્થિતિ અંગે વિમર્શ કરવો હતો. તેમને આજે સાંજે નીકળવું હતું અને બહેનો પાસે રાખડી બંધાવવી હતી. પરંતુ અચાનક સાંજે ત્રણેય બોડીગાર્ડના મોબાઈલ બંધ થઈ ગયા. તેઓ વારંવાર ફોન કરી રહ્યા છે પરંતુ તેમના ફોન સ્વીચ ઓફ છે. આ બધું એ વ્યક્તિના ઈશારે થયું છે માટે ત્રણેય બોડીગાર્ડ વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ. તેજ પ્રતાપના કહેવા પ્રમાણે તેઓ કોઈ પણ સંજોગોમાં રાખડી બંધાવવા માટે જશે પરંતુ તેમની સુરક્ષાની જવાબદારી કોણ લેશે. 

તેજસ્વીની ભૂલો માફ, તેને CM બનવાના આશીર્વાદ

તેજ પ્રતાપના કહેવા પ્રમાણે તે તેજસ્વી યાદવને બિહારનો મુખ્યમંત્રી બનવાશે. તેઓ તેની ભૂલો માફ કરે છે અને તેના માટે યજ્ઞ પણ કરશે. પરંતુ આવી જ સિચ્યુએશન રહેશે તો તેજસ્વી મુખ્યમંત્રી કઈ રીતે બનશે. તેમણે એક વ્યક્તિ વિશેષનું નામ લઈને કહ્યું કે, તે મારા નાના ભાઈને લઈને દિલ્હી જતો રહ્યો. હવે મારી સુરક્ષા તેના ઈશારે જ હટાવી લેવાઈ છે. જોકે સાથે જ તેજ પ્રતાપે પોતે એકલા નથી, બિહારની જનતા તેમના સાથે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું કે, તે વ્યક્તિ વિશેષના ઈશારે જ સોશિયલ મીડિયામાં તેમને ગાળો-અપશબ્દો અપાઈ રહ્યા છે પરંતુ તેઓ કોઈને નહીં છોડે અને બધા સામે માનહાનિનો દાવો માંડશે. 

Share: