બ્રિટનમાં પ્રવેશ પર ભારતને મુક્તિ અને અમારા પર હજી પણ પ્રતિબંધ, પાકિસ્તાનની હૈયાવરાળ

બ્રિટનમાં પ્રવેશ પર ભારતને મુક્તિ અને અમારા પર હજી પણ પ્રતિબંધ, પાકિસ્તાનની હૈયાવરાળ

ઇસ્લામાબાદ, 11 ઓગસ્ટ 2021 બુધવાર

પાકિસ્તાનના ટોચના આરોગ્ય અધિકારીએ બ્રિટનનાં આરોગ્ય સચિવને પત્ર લખીને અસંતોષ વ્યક્ત કર્યો છે કે તેમના દેશને મુસાફરી પ્રતિબંધ યાદીમાં રાખવામાં આવ્યો છે, જ્યારે ભારતને મુક્તિ આપવામાં આવી છે. પાકિસ્તાને તેને અન્યાય ગણાવ્યો છે. એપ્રિલની શરૂઆતમાં પ્રવાસ પ્રતિબંધ ધરાવતા દેશોની યાદીમાં પાકિસ્તાનને મૂકવામાં આવ્યું હતું જ્યારે ભારતને 19 એપ્રિલના રોજ પ્રવાસ પ્રતિબંધ ધરાવતા દેશોની યાદીમાં મૂકવામાં આવ્યું હતું. 5 ઓગસ્ટના રોજ કેટલાક અન્ય દેશોની સાથે ભારતને યાદીમાંથી બહાર કરવામાં આવ્યું છે, જ્યારે પાકિસ્તાન હજું પણ તે યાદીમાં છે.

બ્રિટનનાં પરિવહન સચિવ ગ્રાન્ટ શેપ્સે ટ્વિટ કર્યું કે, “યુએઈ, કતાર, ભારત અને બહેરીનને રેડ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી રહ્યા છે. આ ફેરફારો રવિવાર, 8 ઓગસ્ટ સવારે 4 વાગ્યાથી અમલમાં આવશે. બ્રિટનમાં પાકિસ્તાન મૂળના આરોગ્ય સચિવ સાજીદ જાવિદને લખેલા પત્રમાં, પાકિસ્તાનના વિશેષ આરોગ્ય સલાહકાર ફૈઝલ સુલતાને પાકિસ્તાન અને આ ક્ષેત્રનાં દેશોના રોગચાળાના આંકડા શેર કર્યા છે.

આ પત્ર માનવાધિકાર મંત્રી શિરીન માઝરીએ ટ્વિટર પર શેર કર્યો છે. સુલતાને કહ્યું કે સંક્રમિત લોકોને મુસાફરી કરતા રોકવા માટે ત્રિસ્તરીય અભિગમનો ઉપયોગ કરવો જોઈએ. આમાં WHO દ્વારા માન્યતા પ્રાપ્ત કોવિડ -19 રસી, 72 કલાકનો આરટીપીસીઆર ટેસ્ટ અને એરપોર્ટ પર રેપિડ એન્ટિજેન ટેસ્ટનો પુરાવાનો સમાવેશ થાય છે.

પાકિસ્તાન, ભારત, ઈરાન અને ઈરાકના આંકડાઓની સરખામણી કરતા સુલતાને કહ્યું કે પાકિસ્તાનમાં દૈનિક દસ લાખ કેસ, પ્રતિ 10 લાખ થનારા મોત આ ક્ષેત્રમાં સૌથી ઓછા છે, જ્યારે 100 લોકો દીઠ રસીકરણ સૌથી વધુ છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં પૂરતી સંખ્યામાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

Share: