300 કરોડની લાંચના દાવા મુદ્દે કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકને સીબીઆઇનું તેડું

300 કરોડની લાંચના દાવા મુદ્દે કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકને સીબીઆઇનું તેડું

– ક્યા પ્રોજેક્ટની ફાઇલો મંજૂર કરવા અને કોણે લાંચ આપવાની ઓફર કરી હતી તેની સીબીઆઇ તપાસ કરશે

નવી દિલ્હી : થોડા દિવસ પહેલા જ પુલવામા હુમલાની તપાસ પર સવાલો ઉઠાવનારા જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની સીબીઆઇ પૂછપરછ કરશે. વીમા કૌભાંડ મુદ્દે તપાસ કરી રહેલી સીબીઆઇએ સત્યપાલ મલિકને પૂછપરછ માટે હાજર થવા નોટિસ પણ પાઠવી છે. 

સીબીઆઇએ સત્યપાલ મલિકને દિલ્હીમાં અકબર રોડ ગેસ્ટહાઉસ પર ૨૭ અને ૨૮મી એપ્રીલે હાજર થવા કહ્યું છે. 

સીબીઆઇએ જમ્મુ કાશ્મીરના પ્રોજેક્ટને લઇને ફરિયાદ દાખલ કરી હતી. આ મામલામાં સીબીઆઇએ હાજર થવા માટે સત્યપાલ મલિકને સમન પાઠવ્યા છે. આ મામલાને લઇને પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે તેમને બે ફાઇલો સાઇન કરવા માટે ૩૦૦ કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ થયો હતો. જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ તેમજ મેઘાલયના વર્તમાન રાજ્યપાલ સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ હતા ત્યારે તેમને પ્રોજેક્ટની મંજૂરી બદલ ૩૦૦ કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. આ ઓફર અંબાણી અને આરએસએસ સાથે સંબંધીત વ્યક્તિની બે ફાઇલોને મંજૂરી આપવાના બદલવામાં કરવામાં આવી હતી. 

જોકે મે ડીલને રદ કરી દીધી હતી અને લાંચ લેવાની ના પાડી દીધી હતી.  આ સાથે જ સત્યપાલ મલિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મને વડાપ્રધાને તે સમયે કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર સાથે કોઇ જ સમજૂતી ના કરે. તેમના આ દાવાની તપાસ સીબીઆઇ સાથે કરાવવાની ભલામણ જમ્મુ કાશ્મીર પ્રશાસને કેન્દ્ર સરકારને કરી હતી. જેને મંજૂરી આપી દેવામાં આવી છે. તેથી હવે સત્યપાલ મલિકની સીબીઆઇ દ્વારા તેમના જ દાવાને લઇને પૂછપરછ કરવામાં આવશે. સીબીઆઇ એ જાણવાની કોશીશ કરશે કે તેમને આ લાંચની ઓફર કોણે કરી હતી અને ક્યાં પ્રોજેક્ટ બદલ આ લાંચ આપવામાં આવી રહી હતી. 

Share: