2025 સુધીમાં ભારત માટે પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવુ શક્ય નથીઃ RBIના પૂર્વ ગર્વનર

2025 સુધીમાં ભારત માટે પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવુ શક્ય નથીઃ RBIના પૂર્વ ગર્વનર

નવી દિલ્હી,તા.8 ઓકટોબર 2021,શુક્રવાર

રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર સી રંગરાજનનુ કહેવુ છે કે, હાલની સ્થિતિમાં ભારતની ઈકોનોમી 2025 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બને તે લક્ષ્ય અશક્ય છે.

શૈક્ષણિક સંસ્થાના પદવીદાન સમારોહમાં હાજર સી.રંગરાજને કહ્યુ હતુ કે, કોવિડની ત્રીજી લહેરની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પ્રયાસો થવા જોઈએ. રસીકરણનો વ્યાપ વધારવા માટે હેલ્થ સેક્ટરમાં પણ સરકાર રોકાણ કરે તે જરૂરી છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, કેટલાક વર્ષો પહેલા આશા હતી કે, 2025 સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનશે. હવે આ વાત અશક્ય છે. 2019માં આપણી ઈકોનોમી 2700 અબજ ડોલરની હતી. માર્ચ 2022 સુધીમાં આપણે આ જ સ્તર પર હોઈશું. પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવા માટે આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે ભારતે નવ ટકાનો ગ્રોથ રેટ હાંસલ કરવો પડે તેમ છે. જે અત્યારની સ્થિતિ જોતા શક્ય લાગતુ નથી.

તેમણે કહ્યુ હતુ કે, સરકાર માટે આ લક્ષ્ય પ્રાપ્ત કરવુ બહુ જરૂરી છે પણ આર્થિક સુધારા વગર તે હાંસલ કરવુ મુશ્કેલ છે. જોકે લોકડાઉનમાં ઢીલ અપાયા બાદ હવે ઈકનોમીએ ઝડપ પકડી છે તે સારી વાત છે. બે વર્ષ દરમિયાન ઉત્પાદનમાં જે નુકસાન થયુ છે તે ભરપાઈ કરવા માટે ઝડપી ગ્રોથની જરૂર છે.

Share: