હેડગેવાર અને પંડિત દીનદયાળને ભણશે MBBSના વિદ્યાર્થીઓ, MP સરકારની લીલી ઝંડી

હેડગેવાર અને પંડિત દીનદયાળને ભણશે MBBSના વિદ્યાર્થીઓ, MP સરકારની લીલી ઝંડી


– ‘આઝાદી બાદ ફક્ત નેહરૂને જ તો ભણાવાઈ રહ્યા છે, માટે જ હેડગેવાર અને દીનદયાળ ઉપાધ્યાય અંગે ભણાવવાની જવાબદારી અમે ઉઠાવી છે.’

નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર, 2021, રવિવાર

મધ્ય પ્રદેશની તમામ મેડિકલ કોલેજીસમાં MBBSના વિદ્યાર્થીઓને હવે આરએસએસ અને જનસંઘના સંસ્થાપકો અંગે ભણાવવામાં આવશે. સરકારના કહેવા પ્રમામે વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે દેશના વિચારકોના સિદ્ધાંત અને વેલ્યુ બેઝ્ડ મેડિકલ એજ્યુકેશનને સામેલ કરવામાં આવી રહ્યું છે. 

આ માટે જે વિચારકોને કોર્સમાં સામેલ કરવામાં આવી રહ્યા છે તેમાં આરએસએસ સંસ્થાપક ડૉ. કેશવ હેડગેવાર, જનસંઘના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાય, આયુર્વેદ વિષારદ મહર્ષિ ચરક, સર્જરીના પિતામહ આચાર્ય સુશ્રુત અને ડૉ. ભીમરાવ આંબેડકરના નામ સામેલ છે. 

મધ્ય પ્રદેશના ચિકિત્સા શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે આ અંગે જણાવ્યું કે, તેમણે વિભાગને નોટશીટ મોકલી હતી અને ત્યાર બાદ કોર્સમાં આ બધા જ વિચારકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. હવે તે બધા મેડિકલ એથિક્સ લેક્ચરનો હિસ્સો હશે. મેડિકલ કાઉન્સિલે એથિક્સનો લેક્ચર ઉમેરવાનો નિર્ણય લીધો હતો માટે એ મહાપુરૂષો જેમણે આ દેશની સંસ્કૃતિની રક્ષા કરી અને સમાજની સેવા કરી તેમના વિશે ભણાવવામાં આવી રહ્યું છે. 

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘મને લાગે છે કે, જે ડૉક્ટર્સે આગળ MBBS ભણ્યા બાદ ડૉક્ટર બનવું છે અને સમાજની સેવા કરવી છે તેમને આપણા મહાપુરૂષો અંગે ભણાવવામાં આવે તે જરૂરી છે.’ પંડિત નેહરૂ અને ગાંધીના નામ લેક્ચરમાં શા માટે ન જોડવામાં આવ્યા? આ સવાલના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, ‘આઝાદી બાદ ફક્ત નેહરૂને જ તો ભણાવાઈ રહ્યા છે, માટે જ હેડગેવાર અને દીનદયાળ ઉપાધ્યાય અંગે ભણાવવાની જવાબદારી અમે ઉઠાવી છે.’

તેમણે જણાવ્યું કે, ‘કોંગ્રેસ કહેશે કે અમે શિક્ષણનું ભગવાકરણ કરી રહ્યા છીએ તો હું જણાવી દઉં કે, આ હિંદુત્વ ફક્ત એક ધર્મ નથી પણ જીવનપદ્ધતિ છે. જો કોઈને લાગતું હોય કે સંસ્કૃતિ અંગે ભણાવવું ભગવાકરણ છે તો માની લો કે આ ભગવાકરણ છે. જો યુવાનોમાં મહાપુરૂષોના મૂલ્યોને આત્મસાર કરવા ભગવાકરણ છે તો બિલકુલ આ ભગવાકરણ છે.’ આ સત્રથી જ આ કોર્સ શરૂ થઈ જશે. 

Share: