હરિયાણામાં ખટ્ટર સરકારે 'ગોરખધંધા' શબ્દના ઉપયોગ પર મુક્યો પ્રતિબંધ, આપ્યું આ કારણ

હરિયાણામાં ખટ્ટર સરકારે 'ગોરખધંધા' શબ્દના ઉપયોગ પર મુક્યો પ્રતિબંધ, આપ્યું આ કારણ


– ગોરખનાથ એક સંત હતા અને સોનીપતથી 20 કિમી દૂર ગોર્ડ ગામમાં તેમનું એક મંદિર પણ છે 

નવી દિલ્હી, તા. 19 ઓગષ્ટ, 2021, ગુરૂવાર

ખોટા કામોને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતા ‘ગોરખધંધા’ શબ્દના ઉપયોગ પર હરિયાણાની સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનું કારણ પણ આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે ગોરખનાથ એક સંત હતા અને આ શબ્દના ઉપયોગથી તેમના અનુયાયીઓની લાગણીને ઠેસ પહોંચતી હતી. 

ગોરખનાથ સંપ્રદાયના લોકોએ તાજેતરમાં જ મુખ્યમંત્રી ખટ્ટરની મુલાકાત લીધી હતી અને ગોરખધંધા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા તેમના સમક્ષ માંગણી કરી હતી. તેમની માંગણીને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

પોતાના નિર્ણય અંગે જણાવતા મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે, ‘ગોરખનાથ એક સંત હતા અને કોઈ પણ સત્તાવાર ભાષા, ભાષણ કે અન્ય કોઈ સંદર્ભે આ શબ્દનો પ્રયોગ સંત ગોરખનાથના અનુયાયીઓની લાગણીને ઠેસ પહોંચાડે છે. આ કારણે કોઈ પણ સંદર્ભમાં આ શબ્દના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.’

ગોરખનાથ એક સંત હતા અને સોનીપતથી 20 કિમી દૂર ગોર્ડ ગામમાં તેમનું એક મંદિર પણ છે. 

Share: