સીરિયામાં સૈન્ય પર ઇસ્લામિક સ્ટેટનો હુમલો, 23 જવાનનાં મોત, અનેક ઘાયલ

સીરિયામાં સૈન્ય પર ઇસ્લામિક સ્ટેટનો હુમલો, 23 જવાનનાં મોત, અનેક ઘાયલ


– 2019માં ખાતમા બાદ આઇએસ ફરી સક્રિય થયું

– સીરિયામાં આ વર્ષે ફેબુ્રઆરીમાં આઇએસના હુમલામાં મજૂરો સહિત 53 લોકોની હત્યા કરવામાં આવી હતી

દમાસ્કસ : સીરિયામાં આતંકી સંગઠન આઇએસ ફરી સક્રિય થઇ ગયું છે. સીરિયન સૈન્યના જવાનોને લઇને જઇ રહેલી એક બસ પર આઇએસના આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૨૩ જવાનોના મોત નિપજ્યા હતા, જ્યારે અનેક લોકો ઘવાયા હતા. ગુરૂવારે મોડી રાત્રે માયાદીનમાં થયેલા આ હુમલા પાછળ આઇએસ જવાબદાર હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું. 

બ્રિટન સ્થિત માનવ અધિકાર સંસ્થાએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા ૨૩ જવાનો સીરિયાના સૈન્ય સાથે સંકળાયેલા હતા, સીરિયન ન્યૂઝ એજન્સી સાનાએ જણાવ્યું હતું કે આ હુમલામાં અનેક જવાનો માર્યા ગયા છે. જોકે ચોક્કસ આંકડો જાહેર કરવામાં નથી આવ્યો. આઇએસ દ્વારા સીરિયા અને ઇરાકના મોટા હિસ્સા પર કન્ટ્રોલ રાખવામાં આવ્યો હતો. જોકે ઇરાકમાં આઇએસને સૈન્ય દ્વારા વર્ષ ૨૦૧૭માં હરાવવામાં આવ્યું હતું અને અનેક વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા હતા. બાદમાં વર્ષ ૨૦૧૯માં સીરિયામાંથી પણ આઇએસનો ખાતમો કરવામાં આવ્યો હતો. હવે અચાનક બે વર્ષ બાદ સીરિયામાં આઇએસ ફરી સક્રિય થઇ ગયું હોવાનો સંદેશો આપતો આ ધમાકો સૈન્ય પર કરવામાં આવ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. આ વર્ષે જ ફેબુ્રઆરી મહિનામાં સીરિયાના સુખનામાં આઇએસ દ્વારા વર્ષનો સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો હતો અને ૫૩ લોકોની હત્યા કરવામાં આવી હતી. માર્યા ગયેલા મોટા ભાગના મજૂરો અને સીરિયન સૈન્ય સાથે જોડાયેલા લોકો હતા. હજુ ગયા સપ્તાહે જ આઇએસએ જાહેરાત કરી હતી કે તેના એક નેતા અબુ અલ હુસૈન માર્યો ગયો છે. અત્યાર સુધીમાં આઇએસના ચાર વડાઓનો ખાતમો કરવામાં આવ્યો હતો.  

Share: