સબ કા સાથ..નો મંત્ર ગુજરાતમાંથી શીખ્યોઃ પીએમ મોદીના હસ્તે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની હોસ્ટેલનુ ઉદઘાટન

સબ કા સાથ..નો મંત્ર ગુજરાતમાંથી શીખ્યોઃ પીએમ મોદીના હસ્તે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની હોસ્ટેલનુ ઉદઘાટન

નવી દિલ્હી,તા.15 ઓકટોબર 2021,શુક્રવાર

પીએમ મોદીના હસ્તે આજે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવાયેલી હોસ્ટેલના ફેઝ વનનુ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.

આ દરમિયાન તેમણે વિડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતા કહ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજને હું અભિનંદન આપુ છું. આ પ્રયાસો થકી ઘણા યુવાઓને આગળ વધવાનો મોકો મળશે. હાલમાં આપણે આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજની પેઢીને એ વ્યક્તિઓ અંગે જાણવાની જરૂર છે જેમણે સમાજમાં નવી ચેતના જાગૃત કરી હતી. સરદાર સાહેબે પણ કહ્યુ હતું કે, નાત જાતને આપણે અવરોધ બનવા દેવાની નથી. આપણે તમામ ભારતના દીકરા અને દીકરી છે.

તેમણે કહ્યુ હતું કે, બધાનો સાથ અને બધાના વિકાસના મંત્રમાં કેટલી ક્ષમતા છે તે હું ગુજરાતમાં શીખ્યો હતો. એક સમયે ગુજરાતમાં સારી સ્કૂલો અને શિક્ષકોની કમી હતી અને મેં ખોડલધામનો આશીર્વાદ લઈને આ સમસ્યાનો સમાધાન કરવા માટે લોકોને મારી સાથે જોડ્યા હતા. તમારા આશીર્વાદથી મને ગુજરાતની સેવાનો 2001માં મોકો મળ્યો છે.

પીએમ મોદીએ આગળ કહ્યુ હતુ કે, તમારા આશીર્વાદની તાકાત એટલી મોટી છે કે, આજે 20 વર્ષનો સમય થઈ ગયો પણ હજી દેશની સેવા કરી રહ્યો છું. હવેના યુગમાં ભણતર માત્ર ડિગ્રી સુધી સિમિત નથી. અભ્યાસને હવે સ્કિલ સાથે જોડવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, કોરોના બાદ ભારતની ઈકોનોમીએ જે રીતે વાપસી કરી છે તેના કારણે આખુ વિશ્વ ભારત તરફ આશાથી જોઈ રહ્યુ છે. ભારત ફરી દુનિયાની સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી બનવા જઈ રહ્યુ છે. ગુજરાત પાસે ભુપેન્દ્ર પટેલના સ્વરૂપમાં એવા મુખ્યમંત્રી છે જે ટેકનોલોજીના જાણકારી છે અને જમીન સાથે પણ જોડાયેલા છે. ગુજરાતના વિકાસમાં તેમનો અનુભવ બહુ કામ લાગશે.

Share: