'શરદ પવાર ઔરંગઝૈબનો પુર્નજન્મ, ચૂંટણી ટાણે મુસ્લિમોની ચિંતા કરે છે', ભાજપના નેતાએ વિવાદ છંછેડ્યો

'શરદ પવાર ઔરંગઝૈબનો પુર્નજન્મ, ચૂંટણી ટાણે મુસ્લિમોની ચિંતા કરે છે', ભાજપના નેતાએ વિવાદ છંછેડ્યો

image : facebook

મહારાષ્ટ્ર ભાજપના નેતા નિલેશ રાણેએ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને ઔરંગઝેબનો પુનર્જન્મ ગણાવ્યા હતા. તેના વિરોધમાં NCPએ આજે (9 જૂન) મુંબઈમાં જેલ ભરો આંદોલનની જાહેરાત કરી છે.

ભાજપ નેતાની વિવાદિત ટ્વિટ 

ભાજપના નેતા અને પૂર્વ સાંસદ નિલેશ રાણેએ મરાઠી ભાષામાં ટ્વિટ કર્યું અને લખ્યું કે ચૂંટણી નજીક આવતા જ પવાર મુસ્લિમ સમુદાય માટે ચિંતિત થઈ જાય છે. ક્યારેક એવું લાગે છે કે શરદ પવાર ઔરંગઝેબનો પુનર્જન્મ છે.

નિલેશ રાણેએ ઔરંગઝેબનો પુનર્જન્મ કેમ કહ્યું?

એનસીપી ચીફ શરદ પવારે કોલ્હાપુરમાં હિંસા બાદ કહ્યું હતું કે પરિસ્થિતિ એવી છે કે આપણે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના લોકોની ચિંતા કરવી જોઈએ. ખરેખર કોલ્હાપુરમાં મહારાષ્ટ્રના કેટલાક મુસ્લિમ યુવકો તરફથી સ્ટેટસ પર ઔરંગઝેબ અને ટીપુ સુલતાનની તસવીરો લગાવવાને લઈને હોબાળો થયો હતો. ત્યારબાદ 7 જૂને હિન્દુત્વવાદી સંગઠનોએ કોલ્હાપુરમાં વિરોધ માર્ચ કાઢી હતી. આ દરમિયાન ઘણી જગ્યાએ પથ્થરમારો અને હિંસાની સ્થિતિ જોઈને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કોલ્હાપુરની ઘટનાને ધાર્મિક રંગ આપવો એ સારો સંકેત નથી :  શરદ પવાર

અહેવાલ મુજબ, જ્યારે શરદ પવારને મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને હિંસાની કેટલીક ઘટનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે દાવો કર્યો કે રાજ્યમાં કેટલાક નાના મુદ્દાઓને ‘ધાર્મિક રંગ’ આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, ‘રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવાની જવાબદારી શાસકની છે. જો શાસક પક્ષ અને તેમના લોકો આને લઈને રસ્તા પર ઉતરી આવે અને બે ધર્મો વચ્ચે તિરાડ ઊભી કરે તો તે સારી નિશાની નથી.

શરદ પવારે કરી હતી આ ટિપ્પણી 

શરદ પવારે દાવો કર્યો, ‘જો ઔરંગાબાદમાં પોસ્ટર (કોઈ વ્યક્તિનું) બતાવવામાં આવે, તો પૂણેમાં હિંસા કરવાની શું જરૂર છે, પરંતુ આવું થવા દેવામાં આવી રહ્યું છે.’ પવારે આરોપ લગાવ્યો કે તાજેતરમાં અમે અહેમદનગર વિશે સાંભળ્યું. આજે મેં કોલ્હાપુરના એક સમાચાર જોયા. લોકો રસ્તા પર આવી ગયા અને ફોન પર ટેક્સ્ટ કરવાની નાની ઘટનાને ધાર્મિક રંગ આપવો એ સારી નિશાની નથી.

Share: