×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોકોને હવે ખાખી જોઇને મદદની ખાતરી મળે છે : મોદી


રક્ષા યુનિવર્સિટી સમગ્ર દેશની સુરક્ષાને સમર્પિત

દેશના સુરક્ષા દળોને મજબૂત કરવા તાલીમ અને ગુનેગારોને પકડવા ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી

ગાંધીનગર : દેશના સુરક્ષા દળોને મજબૂત કરવા માટે તનાવમુક્ત તાલીમ પ્રવૃત્તિઓએ આજના સમયની જરૂરિયાત હોવા પર ભાર મૂકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખાખીથી સાવચેત રહેવું જોઇએ   તેવી ધારણાને હવે ખોટી પાડી દેવામાં આવી છે.

હવે જ્યારે લોકો ખાખીને જુએ છે ત્યારે તેઓને મદદની ખાત્રી મળે છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી કહ્યું હતું કે આ યુનિવર્સિટી એ પોલીસ માટેની સંસ્થા નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રની સુરક્ષા માટે સમર્પિત યુનિવસટી છે.

મોદીએ આજે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયનું અત્યાધુનિક ભવન રાષ્ટ્રને સમપત કરી તેના પ્રથમ દીક્ષાંત સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આજના દિવસના વિશેષ મહત્વનું સ્મરણ કરીને વડાપ્રધાને મહાકૂચ કરનાર મહાત્મા ગાંધી અને દાંડી કૂચમાં સહભાગી થનારા વીર આંદોલનકારીઓને શ્રદ્ધાંજલિ આપીને ઉમેર્યું હતું કે, 'અંગ્રેજોના અન્યાય સામે ગાંધીજીના નેતૃત્વ હેઠળની આ ચળવળએ બ્રિટિશ સરકારને આપણા ભારતીયોની સામૂહિક શક્તિનો અહેસાસ કરાવ્યો હતો.'

મોદીએ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓની છબી બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોરોના મહામારી દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા માનવીય કાર્યોની નોંધ પણ તેમણે લીધી છે.

તેમણે કહ્યું કે 'સ્વતંત્રતા પછી, દેશના સુરક્ષા વિભાગમાં સુધારાની જરૂર હતી. એક ધારણા વિકસાવવામાં આવી હતી કે આપણે ખાખીથી સાવચેત રહેવું જોઈએ. પરંતુ હવે તેમાં પરિવર્તન આવ્યું છે. જ્યારે લોકો હવે ખાખીને જુએ છે, ત્યારે તેઓને મદદની ખાતરી મળે છે.'

મોદીએ કહ્યું કે પોલીસ કર્મચારીઓને સંયુક્ત પરિવારના સપોર્ટ નેટવર્કના અભાવને કારણે તણાવગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. સુરક્ષા દળોમાં તણાવ મુક્ત રહેવા માટે યોગ નિષ્ણાતોની જરૂરિયાત છે. તેમને મજબૂત કરવા તનાવમુક્ત તાલીમ જરૂરી છે.

જો ગુનેગારો ટેક્નોલોજીનો ઉપયોગ કરતા હોય તો તેમને પકડવા માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો આવશ્યક છે. ટેક્નોલોજી પરનો આ ભાર દિવ્યાંગ લોકોને પણ આ ક્ષેત્રમાં યોગદાન આપવા સક્ષમ બનાવશે. વડાપ્રધાને કહ્યું કે ગાંધીનગરમાં નેશનલ લૉ યુનિવર્સિટી, રક્ષા યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે.

તેમણે આ સંબંધિત ક્ષેત્રોમાં સર્વગ્રાહી શિક્ષણનું નિર્માણ કરવા માટે નિયમિત સંયુક્ત પરિસંવાદો દ્વારા આ સંસ્થાઓ વચ્ચે તાલમેલની જરૂરિયાત છે. અમે સંરક્ષણ ક્ષેત્રમાં મહિલાઓની વધુ ભાગીદારી જોઇ રહ્યાં છીએ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આત્મ સુરક્ષિત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપશે. 

વાઇસ ચાન્સેલર બિમલ એન. પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે આ યુનિવર્સિટીની 10 સ્કીલોમાં તાલીમ, સંશોધન, શિક્ષણ અને વિસ્તરણના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. પ્રથમ પદવીદાન સમારોહમાં 2017 થી 2021ની બેચના 1090 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે જેમાં 14 પીએચડી, 16 એમફિલ, 243 પીજી ડિપ્લોમા, 823 અનુસ્નાતક, 271 સ્નાતક અને 194 ડિપ્લોમા કક્ષાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ સંસ્થામાં પોલીસિંગ અને આંતરિક સુરક્ષાના વિવિધ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે તેમાં હાલમાં 18 રાજ્યોમાંથી 822 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સમારોહમાં આર્મી, નેવી, એરફોર્સ, સીઆઇએસએફ, એનડીઆરએફ, સીઆરપી, બીએસએફ તથા એનસીસીના ઉચ્ચ અધિકારીઓ, લવાડ પંચાયતના સભ્યો, રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના અધ્યાપકો, પદવી મેળવનાર વિદ્યાર્થીઓ વાલીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.