લખનઉમાં ટ્રેકટર-ટ્રોલી તળાવમાં ખાબકતા ૧૦નાં મોત, ૩૭ ઘાયલ

લખનઉમાં ટ્રેકટર-ટ્રોલી તળાવમાં ખાબકતા ૧૦નાં મોત, ૩૭ ઘાયલ

(પીટીઆઇ)     લખનઉ,
તા. ૨૬

લખનઉના ઇટૌંજામાં સોમવારે મુંડન વિધિ કરાવવા જઇ રહેલા
લોકોથી ભરેલી ટ્રેકટર ટ્રોલી  તળાવમાં પડી
જવાથી તેમાં સવાર ૧૦ લોકોનાં મોત થયા છે અને અન્ય ૩૭ લોકો ઘાયલ થયા છે.

જિલ્લાધિકારી સૂર્યપાલ ગંગવારે જણાવ્યું હતું કે સીતાપુરથી
કેટલાક લોકો ઉનાઇ દેવી મંદિરમાં મુંડન સંસ્કાર માટે જઇ રહ્યાં હતાં. તેમણે
જણાવ્યું હતું કે રસ્તામાં ઇટૌંજા વિસ્તારના ગદ્દીનપુરવાની પાસે ટ્રેકટર ટ્રોલી
બેકાબૂ થઇ તળાવમાં પડી હતી. જેના કારણે તેમાં સવાર લોકો ટ્રેકટર ટ્રોલીને દબાઇ ગયા
હતાં.

પીડિતોનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતાં અને
તેમણે ટ્રેકટર ટ્રોલીની નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતાં. આ ઘટનામાં દસ
લોકોનાં મોત થયા છે જેમાં આઠ મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર ટ્રેકટર ટ્રોલીમાં કુલ ૪૭ લોકો સવાર
હતાં.મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૃપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર સહિતના વરિષ્ઠ જિલ્લા
અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. રાહત અને બચાવ
કાર્ય માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમને બોલાવવામાં આવી
હતી.

 

 

 

Share: