રાહુલ ગાંધીએ નવા પાસપોર્ટ માટે દિલ્હીની કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, જાણો શું કહ્યું ?

રાહુલ ગાંધીએ નવા પાસપોર્ટ માટે દિલ્હીની કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, જાણો શું કહ્યું ?

નવી દિલ્હી, તા.23 મે-2023, મંગળવાર

નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે લોકસભામાંથી અયોગ્ય ઠેરવ્યા બાદ પોતાના રાજદ્વારી પ્રવાસ દસ્તાવેજો જમા કર્યા બાદ નવો સામાન્ય પાસપોર્ટ મેળવવા માટે ‘નો ઓબજેક્શન સર્ટીફિકેટ’ માંગ્યું છે. આ મામલાની સુનાવણી કરતા એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વૈભવ મહેતાએ નેશનલ હેરાલ્ડ કેસના ફરિયાદી ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી પાસેથી રાહુલ ગાંધીની અરજી પર જવાબ માગ્યો છે અને કેસની સુનાવણી બુધવારે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

રાહુલ ગાંધીએ નવા પાસપોર્ટ માટે કોર્ટ પાસેથી NOC માંગ્યુ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજદાર માર્ચ-2023માં સંસદ સભ્ય નથી, તેથી તેમણે રાજદ્વારી પાસપોર્ટને સરેન્ડર કર્યો છે. હવે તેઓ એક નવા સામાન્ય પાસપોર્ટ માટે અરજી કરી રહ્યા છે. હાલની અરજી દ્વારા પાસપોર્ટ જારી કરવા માટે અરજદાર આ કોર્ટ પાસેથી મંજૂરી અને NOC માગી રહ્યા છે. કોર્ટે આ કેસમાં 19 ડિસેમ્બર-2015ના રોજ રાહુલ ગાંધી અને અન્યોને જામીન આપ્યા હતા.

રાહુલ ગાંધી 28 મેએ અમેરિકા જવા રવાના થશે

વાસ્તવમાં કોંગ્રસ નેતા રાહુલ ગાંધી 28 મેએ અમેરિકા જવા રવાના થશે. તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ 29-30 મેએ વિદેશી ભારતીયો સાથે મુલાકાત કરશે. અગાઉ કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી 31 મેએ 10 દિવસ માટે અમેરિકાની મુલાકાતે થશે. રાહુલ ગાંધીનો 4 જુને ન્યુયોર્કના મૈડિસન સ્કાયર ગાર્ડનમાં લગભગ 5000 વિદેશી ભારતીયો સાથે રેલી કરવાનો કાર્યક્રમ હતો. આ ઉપરાંત તેઓ પૈનલ ચર્ચા અને ભાષણ માટે વોશિંગ્ટન પણ જવાના હતા. જોકે હાલ આ વિગતવાર કાર્યક્રમ અંગે કોઈ જાણકારી સામે આવી નથી.

સંસદ પદ રદ થયા બાદ પ્રથમ વિદેશ યાત્રા

લોકસભાનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે. 11 એપ્રિલે રાહુલને માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સંસદ સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.

Share: