રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાની ઝંડો, નામ બદલવાનો નિર્ણય… કાબુલ ફતેહ બાદ તાલિબાનના મોટા નિર્ણયો

રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાની ઝંડો, નામ બદલવાનો નિર્ણય… કાબુલ ફતેહ બાદ તાલિબાનના મોટા નિર્ણયો


– તાલિબાન હવે અફઘાનિસ્તાનને ‘ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન’ નામ આપશે

નવી દિલ્હી, તા. 16 ઓગષ્ટ, 2021, સોમવાર

કાબુલમાં પ્રવેશ સાથે જ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. ત્યાર બાદ રવિવારે તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં પણ ઘૂસ્યા હતા. એટલું જ નહીં, ત્યાં તેમણે તાલિબાનનો ઝંડો પણ લગાવી દીધો હતો. રવિવારે તાલિબાન કાબુલમાં ઘૂસ્યુ હતું અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું. 

અશરફ ગની હટી ગયા અને સત્તા પરિવર્તન બાદ તાલિબાન તરફથી હવે મૌલાના અબ્દુલ ગની બરાદરને રાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, અશરફ ગની દેશ છોડીને ચાલ્યા ગયા છે. તે સિવાય ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પણ અફઘાનિસ્તાન છોડી દીધું છે. તાલિબાન હવે અફઘાનિસ્તાનને ‘ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન’ નામ આપશે. 

શરિયા કાયદો લાગુ થશે

તાલિબાને જાહેરાત કરી છે કે, અફઘાનિસ્તાનમાં હવે શરિયા કાયદો લાગુ થશે. લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, કોઈ પણ પ્રદેશ છોડીને જવાનો પ્રયત્ન ન કરે. તાલિબાને સરકારી કર્મચારીઓને ચેતવણી આપતા કહ્યું છે કે, 20 વર્ષ પહેલા તાલિબાન શાસનમાં જે રીતે કામ કરતા હતા, હવે એ જ રસ્તે પાછા આવી જાઓ. તાલિબાને કહ્યું કે, એક નવી શરૂઆત કરો અને ભ્રષ્ટાચાર, કૌભાંડ, આળસથી સાવધાન રહો. 

Share: