રામપુરઃ આઝમ ખાનને મોટો ઝાટકો, પ્રશાસને પાછી લીધી જૌહર યુનિવર્સિટીની 70 હેક્ટર જમીન

રામપુરઃ આઝમ ખાનને મોટો ઝાટકો, પ્રશાસને પાછી લીધી જૌહર યુનિવર્સિટીની 70 હેક્ટર જમીન


– સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન આઝમ ખાને રામપુરના સ્વાતંત્ર્ય સેનાની મૌલાના મોહમ્મદ અલી જૌહરના નામ પર મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીનું નિર્માણ કર્યું હતું

નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર, 2021, શુક્રવાર

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને યુપી સરકારમાં મંત્રી રહી ચુકેલા આઝમ ખાન દ્વારા બનાવવામાં આવેલી જૌહર યુનિવર્સિટીની જમીન પર હવે યુપી સરકારનો કબજો થઈ ગયો છે. યુપી સરકાર દ્વારા યુનિવર્સિટીની 70 હેક્ટર જમીન પાછી લેવાની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે. અલાહાબાદ હાઈકોર્ટમાં યુપી સરકારની એક્શન વિરૂદ્ધની અરજી રદ થઈ ત્યાર બાદ આ શક્ય બન્યું છે. 

તહસીલદાર પ્રમોદ કુમારના કહેવા પ્રમાણે હાઈકોર્ટે જમીન પાછી લેવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી અરજી રદ કરી દીધી હોવાથી હવે તેઓ જમીન પર કબજો મેળવી રહ્યા છે. 

સપા સરકાર દરમિયાન યુનિવર્સિટી બની

સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન આઝમ ખાને રામપુરના સ્વાતંત્ર્ય સેનાની મૌલાના મોહમ્મદ અલી જૌહરના નામ પર મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીનું નિર્માણ કર્યું હતું. પરંતુ સત્તા પરિવર્તન સાથે જ તેમના આ સપનાને નજર લાગી ગઈ હતી અને પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ આઝમ ખાન વિરૂદ્ધ 100 કરતા વધારે કેસ નોંધાયા હતા. 

જૌહર યુનિવર્સિટી વિરૂદ્ધ પણ તમામ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તે પૈકીની એક કાર્યવાહી જમીનદારી ઉન્મૂલન અધિનિયમ 1950ના સીલિંગના નિયમ અંતર્ગત, જેમાં કોઈ પણ વ્યક્તિ, પરિવાર કે સંસ્થા 12.5 એકર કરતા વધારે જમીન પ્રદેશ સરકારની મંજૂરી વગર ન રાખી શકે. આ નિયમ અંતર્ગત પ્રશાસને જૌહર યુનિવર્સિટી પર વક્રદૃષ્ટિ રાખીને કાર્યવાહી કરી હતી. 

Share: