રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે પેનલની રચનામાં કંઈ ખોટું નથી, SCએ અરજી ફગાવી

રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે પેનલની રચનામાં કંઈ ખોટું નથી, SCએ અરજી ફગાવી


– ભાજપ એ તરફેણમાં છે કે, દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદો હોવો જોઈએ

નવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી 2023, સોમવાર

સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ સાથે સબંધિત એક અરજી ફગાવી દીધી છે. અરજદારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ગુજરાત અને ઉત્તરાખંડમાં કમિટીની રચના કરવાના નિર્ણયને પડકાર્યો હતો. CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી પીઠે અરજીને ફગાવી દેતા કહ્યુ કે, તેમાં ખોટુ શું છે? યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરતા પહેલા તેની સાથે સંબંધિત દરેક પાસાઓ પર વિચારણા કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ગુજરાત અને ઉત્તરાખંડમાં કમિટીની રચના કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજી પર CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની પીઠે સેમવારે સુનાવણી કરી હતી. CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે અરજદારના વકીલને પૂછ્યુ કે, તેમાં ખોટું શું છે? બંધારણની કલમ 162 હેઠળ રાજ્યોને કમિટીનું ગઠન કરવાનો અધિકાર છે. તેને પડકારી ન શકાય. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી સાથે ગુજરાત અને ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાના દરેક પાસા પર વિચાર કરવા માટે રચવામાં આવેલી કમિટી વિરુદ્ધ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. 

લાંબા સમયથી ભાજપના મુખ્ય ચૂંટણી મુદ્દાઓમાં રામજન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ, જમ્મુ અને કાશ્મીરમાં કલમ-370 નાબૂદ ઉપરાંત દેશમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણનો સમાવેશ થાય છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવામાં આવી છે. હવે માત્ર UCCનો મુદ્દો જ બચ્યો છે. ભાજપ એ તરફેણમાં છે કે દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદો હોવો જોઈએ. ધર્મના આધારે કોઈ અલગ વ્યવસ્થા ન હોવી જોઈએ. લગ્ન, છૂટાછેડા અને મિલકત જેવા મુદ્દાઓ પર એક સમાન વ્યવસ્થા હોવી જોઈએ.

Share: