રાજકોટ ઉત્તર-પશ્ચિમમાં 4.3નો ધરતીકંપનો આંચકો અનુભવાયો

રાજકોટ ઉત્તર-પશ્ચિમમાં 4.3નો ધરતીકંપનો આંચકો અનુભવાયો

રાજકોટ, તા.26 ફેબ્રુઆરી-2023, રવિવાર

છેલ્લા ઘણા સમયથી ભારત સહિત વિશ્વભરમાં ભૂંકપના અહેવાલો સામે આવતા રહે છે, તો ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકાઓના અહેવાલો અવાર-નવાર જોવા મળતા હોય છે, ત્યારે આજે રાજકોટમાં પણ ભૂકંપ આવ્યા અહેવાલો મલ્યા છે. રાજકોટ ઉત્તર-પશ્ચિમમાં 4.3ની તીવ્રતાનો આંચકો આવ્યાના અહેવાલો મળ્યા છે. બપોરે 3.21 મિનિટે ભૂકંપનો આંચકો આવતા લોકો બિલ્ડિંગોમાંથી બહાર દોડી આવ્યા હતા. રાજકોટથી 270 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 આંકવામાં આવી છે. જોકે આ ભૂકંપના આંચકાથી કોઈપણ જાનમાલને નુકસાન થયાના અહેવાલો સાંપડ્યા નથી.

23 ફેબ્રુઆરી : અમરેલી

છેલ્લા કેટલાક સમયથી અમરેલી તેમજ સાવરકુંડલા વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ત્યારે 23 ફેબ્રુઆરીએ સવારે અમરેલીમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. અને આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિલોમીટર દુર નોંધાયું છે. 

9 ફેબ્રુઆરી : અમરેલી

હજુ ગત 19 ફેબ્રુઆરીએ જ અમરેલીમાં ભૂકંપનો આંચકો નોંધાયો અનુભવાયો હતો. જે સવારે 11.51 કલાકે નોધાયો હતો. જે બાદ આજે ફરી 3.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. જેથી  લોકો ફફડી ઉઠ્યા હતા. અને તરત ઘરની બહાર દોડી આવ્યા હતા.

9 ફેબ્રુઆરી : ભચાઉ, કચ્છ

ગત તા. 9 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં રાત્રે 9 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 જણાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારે આજે ફરીવાર કચ્છમાં બપોરે 1 વાગ્યાને 45 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો છે. રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ છે. જ્યારે તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. 

8 ફેબ્રુઆરી : કચ્છ

કચ્છમાં વારંવાર ધરતી ધ્રુજવાનીની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે 8 ફેબ્રુઆરીએ ભચાઉમાં ભુકંપથી ધરતી ધ્રૂજી હતી. ભચાઉમાં 8મી ફેબ્રુઆરીએ રાત્રે 9 કલાકને 8 મિનિટે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 આંકવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 24 કિલોમીટર દૂર હોવાના અહેવાલો મળ્યા છે.

11 જાન્યુઆરી : ભચાઉ, કચ્છ

11મી જાન્યુઆરીએ સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી 16 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.

10 ડિસેમ્બર : બનાસકાંઠા

10 ડિસેમ્બરે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ આજે બપોરે 4.27 વાગે આવ્યો હતો. 

5મી ડિસેમ્બર : વલસાડ

વલસાડમાં 1 ડિસેમ્બરે રિએક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતાના ઉપરાઉપરી બે ભૂકંપો આવ્યા બાદ 5મી ડિસેમ્બરે કચ્છના ખાવડાથી 28 કિ.મી. ઉત્તરે સવારે 4.17 વાગ્યે 3.2નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો. કચ્છમાં મોટી ફોલ્ટલાઈન છે અને ત્યાં અવારનવાર ભૂકંપ આવતા હોય છે પરંતુ, 5મીએ આવેલો ભૂકંપ જમીનથી માત્ર 5.9  કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો.

17 ડિસેમ્બર : અમરેલી

અમરેલી પંથકમાં 17 ડિસેમ્બરે ભૂકંપના ઉપરાઉપરી ચાર હળવા આંચકા નોંધાયાનું સિસ્મોલોજીકલ સેન્ટરના સૂત્રોએ જણાવ્યું હતું. તેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 32થી 44 કિ.મી. દૂર દક્ષિણ અને ઉત્તર બન્ને દિશામાં નોંધાયું હતું. અમરેલીથી અહેવાલ પ્રમાણે સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 2.0 અને 2.2 નોંધાઈ છે અને તમામ આંચકા ધરતીની ઉપરી સપાટી પર ઉદભવ્યા હતા. પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે.

Share: