મોંઘવારીના ટેન્શન વચ્ચે EMI પર પણ રાહત નહીં, RBIએ ન બદલ્યો રેપો રેટ

મોંઘવારીના ટેન્શન વચ્ચે EMI પર પણ રાહત નહીં, RBIએ ન બદલ્યો રેપો રેટ


– નિષ્ણાંતોના મંતવ્ય પ્રમાણે રેપો રેટ સૌથી નીચેના દરે છે અને બેંકો પણ સૌથી ઓછા દરે લોન આપી રહી છે

નવી દિલ્હી, તા. 08 ઓક્ટોબર, 2021, શુક્રવાર

દેશની નાણાકીય નીતિ નિર્ધારિત કરનારી RBIએ પોતાના રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ જ ફેરફાર નથી કર્યો. નાણાકીય નીતિની સમીક્ષા માટે 6 ઓક્ટોબરના રોજ શરૂ થયેલી નાણાકીય નીતિ કમિટીની બેઠક શુક્રવારે સમાપ્ત થઈ હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેઠક સમાપ્ત થયા બાદ દેશને કમિટીના નિર્ણયોની જાણકારી આપી હતી. 

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શક્તિકાંત દાસે જણાવ્યું કે, રિઝર્વ બેંકે રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.5 ટકા જાળવી રાખ્યા છે. સતત 8મી વખત રિઝર્વ બેંકે પોતાના રેપો રેટમાં કોઈ જ જાતનો ફેરફાર નથી કર્યો. આ સાથે જ રિઝર્વ બેંક નાણાકીય નીતિને લઈ પોતાના વલણને લચીલું બનાવી રાખશે. 

લોકોને એવી આશા હતી કે, તહેવારોના મોસમમાં રિઝર્વ બેંક પોતાના રેપો રેટમાં ફેરફાર કરશે અને તેને ઘટાડશે જેથી મોંઘવારીથી પીસાયેલા લોકો માટે ઈએમઆઈનું ભારણ ઘટે. જોકે નિષ્ણાંતોના મંતવ્ય પ્રમાણે રેપો રેટ સૌથી નીચેના દરે છે અને બેંકો પણ સૌથી ઓછા દરે લોન આપી રહી છે. તેવામાં રિઝર્વ બેંક પોતાના રેપો રેટને અપરિવર્તિત રાખી શકે છે. રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ફેરફાર ન કરવામાં આવ્યો તેથી લોકોની ઈએમઆઈ ઘટવાની આશા પર પાણી ફરી વળ્યું છે. રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર વાણિજ્યિક બેંક આરબીઆઈમાંથી રોકડ ઉઠાવે છે. 

Share: