મુદ્રીકરણ યોજના અંગે રાહુલ ગાધીએ મોદી સરકાર પર લગાવ્યો આ ગંભીર આરોપ

મુદ્રીકરણ યોજના અંગે રાહુલ ગાધીએ મોદી સરકાર પર લગાવ્યો  આ ગંભીર આરોપ

નવી દિલ્હી, 24 ઓગસ્ટ 2021 મંગળવાર

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના (NMP) ની ઘોષણાને “યુવાનોના ભવિષ્ય” પર હુમલો ગણાવતા, મંગળવારે સરકારને નિશાન બનાવી આકરા પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષમાં બનેલી દેશની મૂડીને તેમના કેટલાક ઉદ્યોગપતિઓ મિત્રોના હાથમાં વેચી દીધી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કેટલીક કંપનીઓને આ “ભેટ” આપવાથી તેમનો પર એકાધિકાર ઉભો થશે, જેના કારણે દેશના યુવાનોને રોજગાર મળી શકશે નહીં.

રાહુલ ગાંધીએ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા સાથે NMP મુદ્દે પત્રકારોને સંબોધ્યા હતા. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી જી અને ભાજપનું સૂત્ર હતું કે 70 વર્ષમાં કંઇ થયું નથી. પરંતુ નાણામંત્રીએ ગઇકાલે 70 વર્ષમાં જે મૂડીનું સર્જન થયું હતું તેને વેચવાનો નિર્ણય કર્યો છે, આનો અર્થ એ થયો કે વડાપ્રધાને બધું વેચી દીધું.

NMP નો વિગતવાર ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “આ મિલકતો બનાવવામાં 70 વર્ષ લાગ્યા છે અને તેમાં દેશના લોકો દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. હવે તેને ત્રણ-ચાર ઉદ્યોગપતિઓને ભેટ આપવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું, અમે ખાનગીકરણની વિરુદ્ધ નથી. અમારા સમયમાં ખાનગીકરણ તર્કસંગત હતું. તે સમયે વ્યૂહાત્મક રીતે મહત્વની સંપત્તિનું ખાનગીકરણ કરવામાં આવ્યું ન હતું. અમે તે ઉદ્યોગોનું ખાનગીકરણ કરતા હતા જે કારણે ઘણું નુકસાન થતું હતું.

કોંગ્રેસી નેતાએ આરોપ લગાવ્યો કે, “આ બધું કેટલીક કંપનીઓનો ઈજારો બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે. જેમ તેમનો એકાધિકાર વધશે તેમ રોજગારી પણ ઘટશે. નરેન્દ્ર મોદી જી તેમના બે-ત્રણ ઉદ્યોગપતિ મિત્રો સાથે યુવાનોના ભવિષ્ય પર હુમલો કરી રહ્યા છે.

Share: