માંજલપુરથી ભાજપમાંથી આજે ફોર્મ ભરીશ: યોગેશ પટેલ

માંજલપુરથી ભાજપમાંથી આજે ફોર્મ ભરીશ: યોગેશ પટેલ

– હું આ ચૂંટણીમાં પણ વધુમાં વધુ મત સાથે વિજેતા બનીશ: યોગેશ પટેલ

વડોદરા, તા. 17 નવેમ્બર 2022, ગુરૂવાર

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી ભાજપ દ્વારા 181 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ત્યારે માંજલપુર બેઠકના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યુ છે કે, હું આજે ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભરવા જઈશ. તેમણે જણાવ્યું કે, સી.આર પાટિલ અને મુખ્યમંત્રીએ મારી ટિકિટ જાહેર કરી છે. હું આ ચૂંટણીમાં પણ વધુમાં વધુ મત સાથે વિજેતા બનીશ. માંજલપુરમાં મારો કોઈ વિરોધ નહોતો. પાર્ટીએ મારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.’

જે બેઠક માટે છેલ્લા દિવસ સુધી રાહ જોવામાં આવી રહી હતી તે આજે નક્કી થઈ હોવાનું જાણવા મળે છે. અંતે યોગેશ પટેલને ફોન કરી બેઠક માટે ઉમેદવારી કરવા સૂચના મળી હોવાનું જાણવા મળ્યું છે.

આજે, રાજ્ય વિધનસભાની બીજા તબક્કાની ચુંટણીમાં ઉમેદવારી પત્રક ભરવા માટેનો છેલ્લો દિવસ છે અને માંજલપુર બેઠક માટે બીજા તબક્કામાં તા. 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે,

આપને જણાવીએ કે, વડોદરા વિધાનસભાની ત્રણ બેઠકો હતી ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલ 4 વખત રાવપુરા બેઠક ઉપરથી ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો થયા બાદ તેઓ છેલ્લી 2 ટર્મથી માંજલપુર બેઠક ઉપર ચૂંટાતા આવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, પાર્ટીએ તેમને આઠમી વખત તક આપી છે.

Share: